ગોધરા તાલુકાના છબનપુર ગામના નહેરવાળા નાયક ફળિયામાં બળવંત નાયક અને તેની માતા કમળાબેન નાયક છુટક મજુરી કામ અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહેતા હતા. ગત રાત્રીના સુમારે પુત્ર બળવંતએ તેની માતા પાસે જમવાનું આપવા માટે જણાવ્યું હતું જે બાદ કોઈ કારણસર તેની માતા કમળાબેનએ પુત્રને જમવાનું ન આપતા તેના પુત્રએ તેની સાથે બોલાચાલી કરવાનું શરૂ કર્યું હતું. બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે પુત્રએ તેની માતા સાથે તકરાર કરીને માર માર્યો હતો. બાદમાં પુત્ર બળવંત વધુ ઉશ્કેરાઈ જતા તેના ઘરની બહારના ભાગે ખુલ્લામાં પડી રહેલ એક લાકડાનો મોટો ટુકડો લઇ આવી તેની માતાના માથાના ભાગે મારી દેતા માથાના ભાગે કમળાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સમગ્ર બનાવની જાણ ગામના સરપંચને વહેલી સવારે થતા સરપંચે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી તેમજ એફ.એસ.એલ.ની મદદથી તમામ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજી તરફ હત્યારા પુત્રની પણ ગણતરીના કલાકોમાં અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હત્યારા પુત્રએ તેની માતા ડાકણ હોવાથી તેની હત્યા કરી હોવાની વાત સરપંચને જણાવી હતી પરંતુ પોલીસ તપાસમાં આવી કોઈ જ વાત સામે આવી નહોતી.