સુરત લોકસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસે જે રીતે ખેલ પાડ્યો તેવી જ રીતે ઈન્દોરમાં પણ ખેલ થયો હોવાની શક્યતા છે. ઈન્દોરમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્ર ખેંચી લીધું છે અને કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાઈ ગયા છે. તેના કારણે ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે જાહેરાત કરી હતી કે અક્ષય કાંતિ બમનું ભાજપમાં સ્વાગત છે.
કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે એક સેલ્ફી પાડીને શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.
અક્ષય બમે આ પગલું શા માટે લીધું તેના માટે અલગ અલગ કારણો આપવામાં આવે છે. ચાર દિવસ પહેલાં ૨૫ એપ્રિલે અક્ષય કાંતિ બમ અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ ૧૭ વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં સુનાવણીની તારીખ આવી હતી. આગામી સુનાવણી ૧૦ મેના રોજ થશે. તેના કારણે અક્ષય કાંતિ બમ અને અન્યોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
અક્ષય કાંતિ બમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે. હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. ભાજપના શંકર લાલવાણીને ઈન્દોરમાં કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવો પડશે નહીં. ઈન્દોર લોકસભા સીટ માટે ૨૫ એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. ૨૯મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કૈલાશ વિજયવર્ગીયએ આ ’ઓપરેશન’ પાર પાડ્યું હોય તેમ કહેવામાં આવે છે અને કોંગ્રેસને તેની ગંધ પણ આવી ન હતી. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ૧૩ મેએ મતદાન થશે અને ૪ જૂને મતગણતરી પૂરી થશે.અક્ષય કાંતિ બમ પાસે પોતાની કાર નથી પરંતુ ૧૪ લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. તેમણે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ ૫૭ કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. શુક્રવારે બીજેડીના સોરો ખાતેના ધારાસભ્ય પરશુરામ ધાડા પણ ભાજપમાં પરત આવી ગયા હતા. તેઓ ઓડિશા વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં પાછા આવી ગયા છે. થોડા અઠવાડિયાઓ અગાઉ જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.તાજેતરમાં સુરતમાં જે ઘટના બની તેનાથી આખા દેશમાં શરૂ થઈ હતી. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ ટેકનિકલ કારણોથી રદ કરવામાં આવ્યું હતું અને કુંભાણી થોડી જ વારમાં ગુમ થઈ ગયા હતા. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને તેના કારણે કોંગ્રેસને ભારે ફટકો પડ્યો હતો. સુરતના કેસમાં એક પણ અપક્ષ કે બીજી પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં ન હોવાના કારણે ભાજપનો બિનહરીફ વિજય થયો હતો.