હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે, બ્રિટનમાં શરણ લઈ રહેલા ભારતીય શરણાર્થીઓ માટે રવાન્ડા બિલ પસાર કર્યું છે. આ બીલ પસાર થયા બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના નિર્ણયની આકરી ટીકા કરી છે. મેક્રોને કહ્યું કે, બ્રિટનમાં આશ્રય મેળવવા માંગતા લોકોને આફ્રિકાના રવાન્ડા મોકલવા એ નિર્થક યોજના છે. તેઓ કહે છે કે આ બીલ આપણને ત્રીજા દેશો પર નવી નિર્ભરતાના માર્ગ પર લઈ જશે.
બ્રિટનમાં કુલ 5000 જેટલા ભારતીય શરણાર્થીઓ વસે છે. જેમાંથી કેટલાક ભારતીયો કાયદેસર રીતે બ્રિટન પહોંચ્યા છે અને કેટલાક ભારતીયો ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવ્યા છે. તે બધાએ બ્રિટનમાં આશ્રય માંગ્યો છે. ગત 23 એપ્રિલે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે, આ તમામ લોકોને રવાંડા મોકલવાની જોગવાઈ વાળો નવો કાયદો પસાર કર્યો હતો. આ કાયદો વડાપ્રધાન ઋષિ સુનકની સરકાર માટે મુખ્ય નીતિ સમાન છે. આ બિલ હેઠળ આ તમામ ભારતીયોને આગામી જૂન સુધીમાં રવાન્ડા મોકલવામાં આવશે.
મોટાભાગના ભારતીયો 18 થી 29 વર્ષની વય જૂથના લોકો છે. આ તમામ ભારતીય શરણાર્થીઓમાંથી 1200 લોકોએ વર્ષ 2023માં ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી. તમામ ભારતીયોને રવાન્ડા મોકલવામાં આવતા તેમની સાથે 5 વર્ષનો કરાર કરવામાં આવશે. રવાંડા જનારા પ્રત્યેક શરણાર્થી માટે રૂ. 63 લાખ અને તમામ શરણાર્થીઓને રૂ. 18,900 આપવામાં આવશે. એવો અંદાજ છે કે વર્ષ 2024માં ઓછામાં ઓછા 2000 ભારતીયો ગેરકાયદેસર રીતે બ્રિટન આવ્યા હતા.