ભારત અને કેનેડા વચ્ચે તાજેતરમાં સંબંધોમાં જે તંગદીલી આવી છે તેની અસર સ્ટુડન્ટ વિઝા પર પણ પડવા લાગી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતીયોના કેનેડા વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં ભારતીય સ્ટુડન્ટની લગભગ 40 ટકા વિઝા અરજીઓને કેનેડા દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે. એક વખત કેનેડામાં સ્ટુડન્ટ તરીકે પહોંચી જાવ ત્યાર પછી પીઆરનો રસ્તો ખુલી જશે તેમ કહીને એજન્ટો વિદ્યાર્થીઓને ભરમાવે છે. પરંતુ સ્થિતિ ઘણી મુશ્કેલ છે.
તાજેતરમાં કેનેડાના ટોચના અખબાર ટોરન્ટો સ્ટારના અહેવાલ મુજબ કેનેડાની એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન તો મળી જાય છે, પરંતુ સ્ટુડન્ટ વિઝાની અરજી કરવામાં આવે ત્યારે લગભગ અડધી અરજીઓ રિજેક્ટ થાય છે. ભારતીયોની આશરે 40 ટકા અરજીઓ આવી રીતે ફગાવી દેવામાં આવી છે અને તેના માટે ચોક્કસ કારણ પણ આપવામાં આવતું નથી. બીજા દેશોની સ્ટુડન્ટ વિઝા અરજીઓ પણ રિજેક્ટ કરવામાં આવે છે પરંતુ તેમાં ભારતીયોનો રિફ્યુજલ રેટ સૌથી વધુ છે.
સ્ટુડન્ટ્સમાં કેનેડા માટે વધારી ચગાવીને છબિ ઉભી કરવા માટે એજન્ટો પણ જવાબદાર હોય છે. તાજેતરમાં કેનેડિયન ઈમિગ્રેશન લોયર્સ એસોસિયેશને માંગણી કરી છે કે ઓવરસિઝ એજ્યુકેશન એજન્ટોને પ્રોવિન્સના રેગ્યુલેશન હેઠળ વાવવામાં આવે અને આ એજન્ટોની વર્તણૂક વિશે એજ્યુકેશન સંસ્થાઓએ જવાબદારી લેવી જોઈએ. કેનેડાએ તાજેતરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વિઝા મેળવવા નાણાકીય રીતે ખર્ચાળ બનાવી દીધા છે. છતાં વિઝાની અરજીઓ સતત વધતી જાય છે. તેની સાથે રિજેક્શનની ટકાવારીમાં પણ વધારો થયો છે. કેનેડાના વિઝા માટે સ્ટુડન્ટે હવે 20,600 ડોલરથી વધારે બચત દેખાડવી પડે છે. પરંતુ તેનો પણ તોડ કાઢી લેવાયો છે. ઘણા લોકો થોડા સમય માટે બેન્ક એકાઉન્ટમાં મોટી રકમ દેખાડીને ઓથોરિટીને ઉલ્લુ બનાવે છે. ઘણા એક્સપર્ટને બીક છે કે આ રીતે જ ચાલતું રહેશે તો કેનેડાની રેપ્યુટેશનને ફટકો પડશે.
છેલ્લા એક દાયકામાં કેનેડામાં સ્ટડી પરમિટ ધરાવતા લોકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. 2013માં આ આંકડો ત્રણ લાખનો હતો જ્યારે ચાલુ વર્ષે 9 લાખ સ્ટુડન્ટને સ્ટડી પરમિટ અપાઈ હતી. કેનેડાને ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ વગર ચાલે તેમ નથી કારણ કે તેઓ 22 અબજ ડોલરનો બિઝનેસ આપે છે અને તેઓ જે ખર્ચ કરે છે તેના કારણે જ કેનેડામાં લગભગ બે લાખ લોકોને જોબ મળે છે. જોકે, હાલમાં કેનેડામાં એફોર્ડેબલ હાઉસિંગની કટોકટી ચાલે છે તેથી સ્ટુડન્ટ માટે પણ ત્યાં રહેવું પોસાતું નથી. પરિણામે ઘણા ભારતીય સ્ટુડન્ટ કેનેડાથી પરત આવી ગયા છે. ઘણા ભારતીયો ફૂડ બેન્ક પર આધારિત હોય છે અને શેલ્ટર માટે પણ ધક્કા ખાતા રહે છે.