Aapnu Gujarat
ગુજરાત

હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ

અમદાવાદથી મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પૂરજોશમાં કામ થઈ રહ્યું છે ત્યારે હવે અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવા વિચારણા ચાલે છે. ભારતના આ બે મહત્ત્વના શહેરો વચ્ચે પણ જો બૂલેટ ટ્રેન દોડવા લાગશે તો અમદાવાદ અને દિલ્હી વચ્ચેનું અંતર ટ્રેન દ્વારા માત્ર સાડા ત્રણ કલાકમાં કાપી શકાશે. હાલમાં આ અંતર કાપવામાં ટ્રેનને 13થી 15 કલાક લાગી જાય છે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન રિયાલિટી બનશે તો આ ટ્રેન સરેરાશ 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાથી પસાર થઈને સાડા ત્રણ કલાકની અંદર દિલ્હી પહોંચાડી દેશે. જોકે, આ પ્રોજેક્ટ પૂરો કરવામાં કેટલો સમય લાગે છે તે પણ વિચારવું જોઈએ કારણ કે હજુ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બૂલેટ ટ્રેન શરૂ નથી થઈ અને આ પ્રોજેક્ટ પણ ઘણો વિલંબથી ચાલી રહ્યો છે. અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન 2026માં શરૂ થાય તેવી આશા છે. મહત્ત્વની વાત એ છે કે અમદાવાદ શહેરને બે-બે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ મળી રહ્યા છે. રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા એક વિસ્તૃત રિપોર્ટ પ્રમાણે આ ટ્રેન અમદાવાદ પછી હિંમતનગર, ઉદયપુર, ભીલવાડા, ચિત્તોડગઢ, અજમેર, કિશનગઢ, જયપુર, રેવાડી અને માનેસર સ્ટેશનોને કવર કરશે.

લોકસભા ચૂંટણી માટેના મેનિફેસ્ટોમાં ભાજપે કહ્યું છે કે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતમાં એક-એક બૂલેટ ટ્રેન દોડાવવામાં આવશે. કેન્દ્ર સરકારે દેશમાં ટુરિઝમને પ્રમોટ કરવા માટે કનેક્ટિ વધારવા પર ફોકસ કર્યું છે તેથી છ નવા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે જેમાં અમદાવાદ-દિલ્હી બૂલેટ ટ્રેનનો પણ સમાવેશ થશે. સપ્ટેમ્બર 2020માં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને આ રેલવે લાઈનની ફાઈનલ એલાઈનમેન્ટ ડિઝાઈન માટે બિડિંગ પ્રોસેસ શરૂ કરી હતી. આ પ્રોજેક્ટ માટે એરિયલ સરવે કરવામાં આવ્યા હતા અને હવે કેન્દ્ર સરકારની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે અમદાવાદથી દિલ્હી વચ્ચે લગભગ 900 કિમીનો એલિવેટિડ કોરિડોર સ્થાપવામાં આવશે જેનાથી આ બે શહેરો વચ્ચેનું અંતર કાપવામાં 9 કલાકની બચત થશે. હાલમાં અમદાવાદથી દિલ્હી વચ્ચે દોડતી રાજધાની ટ્રેનને લગભગ સાડા બાર કલાક લાગે છે.

અમદાવાદ – દિલ્હી વચ્ચે બૂલેટ ટ્રેન માટે જે લાઈન પાથરવામાં આવશે તે હાલની રેલવે લાઈનની સમાંતર હશે. તેના કારણે જમીનના સંપાદન માટે ઓછામાં ઓછી મહેનત પડશે. આવા મોટા પ્રોજેક્ટ પાર પાડવાના હોય ત્યારે જમીન હસ્તગત કરવામાં સૌથી વધારે સમય લાગતો હોય છે કારણ કે તેમાં ઘણા બધા કોર્ટ કેસ પણ કરવામાં આવતા હોય છે.
અમદાવાદથી દિલ્હી બૂલેટ ટ્રેનની શરૂઆત સાબરમતી સ્ટેશનથી થશે જ્યાં એક મલ્ટિમોડલ હબ સ્થાપવામાં આવ્યું છે. આ પ્લાન્ડ રૂટ પર નવ મોટા સ્ટેશન આવશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના મહત્ત્વના સ્ટેશનોને કવર કરીને પછી દિલ્હીમાં પ્રવેશ કરશે.

આ દરમિયાન અમદાવાદથી મુંબઈ વચ્ચે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબથી ચાલે છે અને લેટેસ્ટ માહિતી પ્રમાણે જુલાઈ 2026માં આ બે શહેરો વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે.

Related posts

વાદળછાયુ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પારો ૪૧ હશે

aapnugujarat

નેત્રદાનને વ્યક્તિગત સામુહિક અને સામુદાયિક અભિયાન બનાવવાની વડોદરા જિલ્લા કલેકટરશ્રીની ભલામણ

aapnugujarat

ગુજરાતના ધારાસભ્યોને બખ્ખા, સારવાર માટે ૧૫ લાખ સુધી પૂછવાની નથી જરૂર

aapnugujarat
UA-96247877-1