જિલ્લા કલેકટર પી.ભારતીએ સોમવારે સાંજે જાતે નેત્રદાન કરવા માટેનો સંકલ્પ પત્ર ભરીને, ૨૫ અંધજનોને ચિત્ર સર્જનની તાલીમ દ્વારા નેત્રદાનની જાગૃતિ કેળવવાનો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનનું આયોજન આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, યંગ ઇન્ડિયન્સ અને સીઆઇઆઇ દ્વારા નેત્રદાન દ્વારા અંધત્વ નિવારણની જાગૃતિ કેળવવા કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે ચિત્રકાર શ્રી ભાવસિંહ બંભાણીયાએ પ્રજ્ઞાચક્ષુઓને અનુભૂતિ (ફીલ) દ્વારા પોતાની કલ્પના પ્રમાણે ચિત્ર સર્જન અને રંગપૂરણીની તાલીમ આપી હતી જેનું ક્યુરેશન સચીન કાલુસકરે કર્યુ હતું. નિસ્તેજ આંખો છતાં દ્રષ્ટિ અને કલ્પના શક્તિના બળે અંધજનોએ સુંદર રંગીન ચિત્રોનું સર્જન કર્યુ હતું અને અંધ આંખોમાં અજવાળા પૂરવા નેત્રદાન કરોના સંદેશ આપ્યો હતો. પ્રયોજક સંસ્થાઓના પદાધિકારીઓએ પ્રજ્ઞાચક્ષુઓની ધગશ, કલ્પનાશીલતા અને કલા કુશળતાને બિરદાવી હતી. અંધજનોએ ૨×૨ ફુટના કેન્વાસ પર ચોંટાડેલા બોર્ડ પર હાથથી ફિલ કરીને કલ્પના પ્રમાણેના ચિત્રો દોર્યા હતા અને તેમાં રંગ પૂર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ નેત્રદાનને વ્યક્તિગત, સામુહિક અને સામુદાયિક અભિયાન બનાવવાની હિમાયત કરી હતી તથા નેત્રદાન પ્રોત્સાહક તમામ આયોજનોને જિલ્લા પ્રશાસનના સંપૂર્ણ પીઠબળની ખાતરી આપી હતી. આર્ટ ક્યુરેટર શ્રી સચીન કાલુસકરે જણાવ્યું હતું કે, નેત્રદાનથી કોર્નીયલ બ્લાઇન્ડનેસ ઘટાડી શકાય છે. એટલે સમાજમાં મૃત્યુ બાદ નેત્રદાનની સંકલ્પબધ્ધતા કેળવવા, સંસ્થાઓના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.