Aapnu Gujarat
ગુજરાત

એક સભ્યના વિરોધને કારણે સોસાયટીનું રિડેવલપમેન્ટ ના અટકી શકે : GUJARAT HIGH COURT

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણેક વર્ષથી જૂના અપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટનો મોટાપાયે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે વધુ એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈ સોસાયટીનો એકમાત્ર સભ્ય જો વિરોધમાં હોય તો તેને કારણે રિડેવલપમેન્ટ અટકાવી ના શકાય. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર હાઈકોર્ટે તાજેતરમાં જ આ ચુકાદો નારણપુરામાં આવેલી 36 વર્ષ જૂની એક સોસાયટીના અટકી પડેલા રિડેવલપમેન્ટના સંદર્ભમાં આપ્યો હતો.

આ બિલ્ડિંગનું બાંધકામ જોખમી બન્યા બાદ તેનું રિડેવલપમેન્ટ કરવાનું સોસાયટીના મેમ્બર્સે નક્કી કર્યું હતું, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક મેમ્બર તેના વિરોધમાં હતા. 12 મેમ્બર્સ ધરાવતી નારણપુરાના નવરંગ સર્કલ પાસે આવેલી ઋતુલ પાર્ક સોસાયટીનું બાંધકામ 1978માં થયું હતું, પરંતુ આ સોસાયટી છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત અવસ્થામાં આવી હતી તેમજ તેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી.

બિલ્ડિંગ અનસેફ બનતા સોસાયટીએ રિડેવલપમેન્ટ માટે પ્રોસેસ શરૂ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક મેમ્બરે તેનો એવી દલીલ સાથે વિરોધ કર્યો હતો કે તેમનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી તેમને ઓપન સ્પેસ વાપરવાનો પણ હક્ક મળ્યો છે જે રિડેવલપમેન્ટ બાદ શક્ય નહીં બને. તેના માટે તેમણે કેસ પણ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેમની દલીલનો અસ્વીકાર કરીને ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ 1973ની જોગવાઈઓ હેઠળ ઋતુલ પાર્ક સોસાયટીના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી.

કોર્ટે સોસાયટીના આ મેમ્બરને મકાન ખાલી કરવાનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે સોસાયટીનાં રિડેવલપમેન્ટનું કામ પૂરૂં ના થાય ત્યાં સુધી તેમને હંગામી ધોરણે બીજી જગ્યાએ રહેવું પડશે, પરંતુ તેને લોસ ઓફ પ્રોપર્ટી ના ગણી શકાય. જસ્ટિસ વી.ડી. નાણાવટીએ પોતાના ચુકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે રિડેવલપમેન્ટ સોસાયટીના બહુમતિ સભ્યોના ટેકા સાથે તેમના જ હિતમાં થઈ રહ્યું છે, જેનો લાભ સોસાયટીના તમામ સભ્યોને તેમના વ્યક્તિગત પ્રોપર્ટી રાઈટ્સને અસર કર્યા વિના પ્રાપ્ત થશે.

36 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટનો રસ્તો સાફ કરી આપતા ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે એક મેમ્બરને બાદ કરતા તમામ લોકો તેના માટે તૈયાર છે તેવી સ્થિતિમાં બહુમતિ સભ્યોના નિર્ણયને તેની અસર ના થવી જોઈએ. કોર્ટે એવી પણ સષ્ટતા કરી હતી કે વિરોધ કરી રહેલા જે મેમ્બરે ઓપન સ્પેસ વાપરવાના પોતાના હક્ક અંગે જે કેસ કર્યો છે તેના કારણે પણ સોાસાયટીનું રિડેલપમેન્ટ અટકાવી ના શકાય.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના નવરંગપુરા તેમજ નારણપુરા જેવા પોશ વિસ્તારોમાં હાલના સમયમાં અનેક જૂના અપાર્ટમેન્ટ્સના રિડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પરંતુ ઘણા કેસમાં સોસાયટીના અમુક સભ્યોએ વાંધો લેતા કેટલાક કેસમાં રિડેવલપમેન્ટનું કામકાજ ઘણા લાંબા સમય સુધી અટવાઈ પડ્યું હતું, અને આવી અમુક મેટર્સ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે કોર્ટે રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં જ છેલ્લા આઠ મહિનામાં 50 જેટલા રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ ફાઈનલ થયા છે તેમજ 400 જેટલી સોસાસટી તેના માટેની વાટાઘાટોના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે.

એક્સપર્ટ્સનું માનીએ તો શહેરના નવરંગપુરા, નારણપુરા, પાલડી અને મેમનગરમાં રિડેલવપમેન્ટનું સૌથી વધુ કામકાજ જોવા મળી રહ્યું છે જેમાં આગામી સમયે હજુય વધારો થઈ શકે છે. તેમાંય ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રિડેવલપમેન્ટને લગતા જે ચુકાદા આપ્યા છે તેના કારણે અનેક જૂની સોાસયટીઓનો તેમાં રસ વધી રહ્યો છે. રિડેવલપમેન્ટનું કામકાજ વધતા આ વિસ્તારોમાં ભાડાનાં મકાનોની પણ જોરદાર ડિમાન્ડ ઉભી થઈ છે, અને તેના લીધે ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

કોઈ સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય ત્યારે તેનું કામ પૂરૂં થતાં બેથી ત્રણ વર્ષ જેટલો સમય લાગતો હોય છે, અને સોસાયટીના મૂળ સભ્યોને ત્યારસુધી ભાડે રહેવા માટે પણ બિલ્ડર્સ અમુક નિશ્ચિત રકમ ચૂકવતા હોય છે. નિયમ અનુસાર, કોઈ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરવા માટે 75 ટકા સભ્યોની સહમતી હોવી જરૂરી છે. અમદાવાદમાં હાલ જે અપાર્ટમેન્ટ્સના રિનોવેશન થઈ રહ્યા છે તેમાંના મોટાભાગના 1BHK અથવા 2BHK છે, તેમજ 25 વર્ષથી પણ વધુ જૂના થઈ ચૂક્યા છે.

રિડેવલપમેન્ટની મેટરમાં તેનો વિરોધ કરનારા અમુક સોસાયટીના સભ્યોને અલગ-અલગ કારણોસર તેની સામે વાંધો હોય છે, જેમાં બિલ્ડરે આપેલા પ્લાન સાથે અસહમતી ઉપરાંત રિડેવલપમેન્ટની અમુક શરતોથી સહમત ના હોય તેવા મેમ્બર્સ તેનો વિરોધ કરતા હોય છે. જોકે, ગુજરાત હાઈકોર્ટે છેલ્લા દોઢેક વર્ષમાં અમદાવાદની સોસાયટીઓને લગતા એવા અનેક ચુકાદા આપ્યા છે કે જેમાં તેનો વિરોધ કરી રહેલા એકલ-દોકલ સભ્યોના વાંધાને ફગાવી દેવામાં આવ્યા હોય.

આવા જ એક કેસમાં અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા રામેશ્વર અપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટના ગુજરાત હાઉસિંગ બોર્ડે એક બિલ્ડર સાથે કરેલા કરારનો વિરોધ કરી રહેલા 17 મેમ્બર્સના એપ્રિલ 2023માં પોલીસ પ્રોટેક્શન સાથે મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા. અમુક સભ્યોના વિરોધને કારણે આ સોસાયટીનું 2021માં ફાઈનલ થઈ ગયેલું રિડેવલપમેન્ટ અટવાઈ ગયું હતું.

તેનો વિરોધ કરી રહેલા જૂથ રામેશ્વર હિત રક્ષક સમિતિના મેમ્બર જયંતિ પટેલે ત્યારે એવું કહ્યું હતું કે અગાઉ જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડને સોસાયટીએ રિડેવલપમેન્ટ માટે પોતાની સહમતી આપી ત્યારે તેમાં કોમર્શિયલ ડેવલપમેન્ટનો કોઈ ઉલ્લેખ નહોતો અને સોસાયટીના મેમ્બર્સને આખોય પ્રોજેક્ટ માત્ર રેસિડેન્શિયલ હશે તેવું કહેવાયું હતું.

જોકે, સોસાયટીના ચેરમેન સંદીપ ત્રિવેદીએ આ દલીલને ફગાવી દેતા તે સમયે એવું કહ્યું હતું કે નવી સ્કીમમાં 800 ફ્લેટ્સ અને કોમર્શિયલ બાંધકામ હશે તેવું પહેલા જ બધા મેમ્બર્સને જણાવાયું હતું. આ સોસાયટીના 312 મેમ્બર્સમાંથી 296એ પહેલા જ રિડેવલપમેન્ટ માટે પોતાની સહમતી આપી દીધી હતી. રિડેવલપમેન્ટના પ્લાન અનુસાર આ સોસાયટીમાં 14 માળના 15 ટાવર અને એક મોલ બનવાના છે, જેનું કામકાજ ત્રણ વર્ષમાં પૂરૂં થવાનું હતું.

Related posts

જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ.વસ્તુઓની કીટ આપીને સહાય

editor

કુબેરનગર વોર્ડમાં ગેરકાયદે બાંધકામ રોકવા ગયેલા કર્મીઓ પર હુમલો

aapnugujarat

अब आरटीओ इंस्पेक्टर भी तुरंत देंगे ई-मेमो

aapnugujarat
UA-96247877-1