Aapnu Gujarat
ગુજરાત

આ વખતની ચૂંટણી મારા માટે સૌથી પીડાદાયક રહી :રુપાલા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે આગામી મહિને રિઝલ્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ કહ્યું છે કે આ વખતની ચૂંટણી તેમના જીવનમાં સૌથી પીડાદાયક રહી છે. પરશોત્તમ રૂપાલાએ દલિતોના એક કાર્યક્રમમાં રાજા-મહારાજાઓ વિશે એક ટિપ્પણી કરી ત્યાર બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હજુ પણ તેનું સમાધાન નથી થયું. રુપાલાએ આ મુદ્દે વારંવાર માફી માગી હતી અને વોટિંગ પછી પણ તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી છે.

તેમણે કહ્યું કે મતદાન થઈ ગયું છે. મારે હવે એક કબૂલાત કરવાની છે. હું મારા 40 વર્ષના રાજકીય જીવનમાં ઘણી ચૂંટણીઓ લડ્યો છું. પરંતુ આ વખતની ચૂંટણી સૌથી વધુ પડકારદાયક હતી. મારો આખો પક્ષ વિવાદમાં સપડાઈ ગયો હતો. મારા માટે આ બહુ દુખદાયક હતું કારણ કે પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના કારણે સહન કરવું પડ્યું છે.
તેમણે કહ્યું કે મારી ભૂલ હતી અને જે કંઈ થયું તેના માટે માત્ર હું જવાબદાર હતો. વ્યક્તિગત રીતે પણ મારા માટે આ દુખદાયક હતું કારણ કે સામાન્ય રીતે મારી સ્પીચ મારા પક્ષ માટે બહુ મહત્ત્વની હોય છે. પરંતુ ઉમેદવાર તરીકે મારા નિવેદને મારી પાર્ટી માટે સમસ્યા પેદા કરી છે. મને એ વાતનો ખેદ છે કે ભાજપના વરિષ્ઠ મંત્રીઓએ પણ મારા નિવેદન અંગે જાહેરમાં માફી માગવી પડી હતી.

તેમણે કહ્યું કે મારી ટિપ્પણી પછી મેં તરત માફી માગી લીધી તેની પાછળ મત મેળવવાનો કોઈ ઇરાદો ન હતો. હું ફરી એક વખત સમગ્ર ક્ષત્રિય સમુદાયની માફી માગુ છું અને આ સમુદાયની મહિલાઓને મારી વિનંતી છે કે તેઓ ક્ષમા વીરસ્ય ભૂષણમનું સૂત્ર અપનાવે. મારી અપીલ રાજકારણ પ્રેરિત નથી.

અગાઉના રાજા મહારાજાઓએ બ્રિટિશરો સાથે રોટી બેટીને વ્યવહાર કર્યો હતો તેવું નિવેદન કરીને રુપાલા વિવાદમાં ફસાઈ ગયા હતા. ક્ષત્રિય સમાજે આ ટિપ્પણીને પોતાના અપમાન તરીકે ગણી હતી અને પછી રાજકોટમાં રૂપાલા સિવાય કોઈ બીજાને ભાજપ ઉમેદવાર બનાવે તેવી માગણી સાથે આંદોલન ચાલ્યું હતું. આ દરમિયાન રુપાલાએ વારંવાર માફી માગી, પરંતુ ભાજપે ઉમેદવાર બદલ્યા ન હતા.

ત્યાર બાદ ક્ષત્રિયોએ ભાજપને ઓછામાં ઓછા 10 બેઠક પર હરાવવા માટે હાકલ કરી હતી જેમાં રાજકોટ અને જામનગરની બેઠક પણ સામેલ છે. જોકે, મતદાનના બે દિવસ અગાઉ ભાજપ સાથે સંકળાયેલા ક્ષત્રિય નેતાઓએ રુપાલાને માફ કરી દેવા માટે સમુદાયને અપીલ કરી હતી. રાજકોટની બેઠક પર રુપાલાને ઉભા રાખવા માટે ભાજપે બે વખતથી સાંસદ બનેલા મોહન કુંડારિયાને પડતા મૂક્યા હતા. રાજકોટમાં કોંગ્રેસે રુપાલાની સામે ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા.

Related posts

બનાસકાંઠાની વિકટ પરિસ્થિતિ અંગે રાજકીય પક્ષો રાજનીતિ બંધ કરેઃ તોગડિયા

aapnugujarat

પાસ કોર કમિટિના સભ્યોની આજે હાર્દિક સાથે મિટિંગ

aapnugujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલ્પેશ કથીરિયાએ આપ્યું નિવેદન

aapnugujarat
UA-96247877-1