હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને મોટો હોબાળો પણ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાતના રાજકારણના વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાશે. ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે આ બંને પાટીદાર નેતાઓ શનિવારે ભાજપમાં જોડાશે. આ બંને નેતાઓએ થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
મીડિયા અહેવાલ પ્રમાણે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પત્રિકામાં લખવામાં આવ્યુ છે કે, શનિવારે રાત્રે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા સુરત ખાતે ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમાં સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરીયા, મુકેશ પટેલ અને દક્ષેસ માવાણી પણ હાજર રહેશે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, કોઈ મનદુઃખ નથી. સામાજિક કાર્યો પર ધ્યાન આપવાને લઈને મેં રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવાની ચર્ચા અંગે તેમણે કહ્યું હતું કે, હું લોકોને મળીશ અને ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈશ.