Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

હત્યા, બળાત્કાર સહિતના પીડિતોને વળતરમાં વધારો કરતી ગુજરાત સરકાર

જાતીય હિંસા તથા અન્ય ગુનાઓમાં ભોગ બનનાર મહિલાઓ-તમામ અસરગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકારે વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૮નો નવતર અભિગમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે જે હેઠળ હત્યા અને સામૂહિક બળાત્કાર જેવા કિસ્સામાં ઓછામાં ઓછું રૂ. ૫ લાખ અને વધુમાં વધુ રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અગાઉ આ યોજના હેઠળ રૂ. ૫૦ હજારથી રૂ. ૩ લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતુ હતું.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ યોજનાનો તલસ્પર્શી અભ્યાસ કરી તેના સારા પાસાંઓ ધ્યાને લઇ સહાય માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયત કરવામાં આવેલ રકમ પુરેપુરી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહી, આ યોજનાને મહિલાઓ પૂરતી સિમિત ન રાખતાં યોજનાનો લાભ તમામ વિકટીમને મળે તેવો રાજય સરકારે નિર્ણય કર્યો છે.અમલમાં આવનારી આ નવી વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૮થી હવે લિંગભેદ વગર તમામ અસરગ્રસ્તોને મૃત્યુના કિસ્સામાં, ગેંગ રેપનો ભોગ બનનારના કિસ્સામાં, એસિડ એટેકના કિસ્સામાં તેમ જ શરીરના કોઇ અંગ કે ભાગ ગુમાવવાને કારણે કાયમી અશક્તતાના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવશે. ઉપરાંત પોકસો એકટ હેઠળના વીક્ટીમ સહિત સગીર બાળકોના કિસ્સામાં આ યોજના હેઠળ રકમના ૫૦ % વધુ રકમ વળતર તરીકે ચૂકવવાનો નિર્ણય પણ કરાયો છે.વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ ૨૦૧૬ હેઠળ અગાઉ મૃત્યુના કેસમાં રૂા .૧.૫૦ લાખ, ૮૦ ટકા કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. ૧ લાખ, ૪૦ થી ૮૦ ટકા કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.૫૦ હજાર, બળાત્કારના કિસ્સામાં રૂા.૧ લાખ, મહિલા-બાળકોને માનસિક હેરાનગતિના કિસ્સામાં રૂા.૨૫ હજાર, એસિડ એટેકમાં રૂા.૩ લાખ, પુનઃસ્થાપન માટે રૂા. ૫૦ હજાર તથા સૃષ્ટિ વિરુદ્ધના કાર્યમાં રૂા.૨૫ હજારનું વળતર ચૂકવવામાં આવતું હતું.પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય સરકાર દ્વારા વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ ૨૦૧૮ની નવી યોજના હેઠળ ચૂકવવામાં આવનાર વળતરની વિગતો આપતાં કહ્યું કે, શારિરીક હિંસામાં ભોગ બનનાર ને મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું રૂા.૫ લાખ તથા વધુમાં વધુ રૂા.૧૦ લાખનું વળતર, તે જ રીતે ૮૦ ટકાથી વધુ કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.૨ લાખ થી રૂા.૫ લાખ, ૪૦ ટકાથી ૮૦ ટકા સુધીની કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. ૨ લાખ થી ૪ લાખ, ૨૦ ટકાથી ૪૦ ટકા સુધીની અપંગતાના કિસ્સામાં રૂા.૧લાખ થી ૩ લાખ અને ૨૦ ટકા સુધીની અપંગતાના કિસ્સામાં રૂા. ૧ લાખથી રૂા.ર લાખનું તેમજ શારીરિક કે માનસિક ઇજાગ્રસ્ત લોકોના પુનઃસ્થાપન માટે રૂા. ૧લાખથી રૂા.૨લાખનું વળતર ચૂકવાશે.બળાત્કારના કિસ્સામાં ભોગ બનનારને રૂા.૪ થી રૂા.૭ લાખ, સામૂહિક બળાત્કારના કિસ્સામાં રૂા.પ લાખથી રૂા.૧૦ લાખ, સુષ્ટિ વિરુદ્ધના કૃત્યના કિસ્સામાં રૂા. ૪ લાખથી રૂા. ૭ લાખનું વળતર, બળાત્કારના કારણે ભૃણ હત્યા થાય, અથવા તો ગર્ભાધાનની ક્ષમતા ગુમાવે એવા કિસ્સામાં રૂા. ર લાખથી રૂા. ૩લાખ, બળાત્કારને કારણે ગર્ભવતી બનવાના કિસ્સામાં રૂા.૩ લાખથી રૂા.૪ લાખનું વળતર ચૂકવાશે.જ્યારે હુમલાની પીડિત વ્યક્તિના દાઝી જવાના કિસ્સામાં કદરૂપતા કે ખોડખાંપણ આવે ત્યારે રૂા.૭ લાખથી રૂા.૮ લાખ, ૫૦ ટકાથી વધુ દાઝી જવાના કિસ્સામાં રૂા. પ લાખથી રૂા.૮ લાખ ૫૦ ટકાથી ઓછી ઇજામાં રૂા.૩ લાખ થી રૂા.૭ લાખ અને ૨૦ ટકાથી ઓછી દાઝી જવાના કિસ્સામાં ઓછામાં ઓછી રૂા.૨ લાખ અને વધુમાં વધુ રૂા.૩ લાખનું વળતર અપાશે.એસિડ હુમલાના કિસ્સામાં જો પીડિત વ્યક્તિને ચેહરાથી કદરૂપતાનો સામનો કરવો પડે તો એવા કિસ્સામાં ઓછામાં ઓછું વળતર રૂા. ૭ લાખ અને વધુમાં વધુ રૂા.૮ લાખનું વળતર, ૫૦ ટકા કરતાં વધુ ઇજામાં રૂા. ૫ લાખથી રૂા.૮ લાખ, ૫૦ ટકા કરતા ઓછી ઇજામાં રૂા.૩લાખથી રૂા.૫ લાખ જ્યારે ૨૦ ટકા કરતા ઓછી ઇજાના કિસ્સામાં ઓછું વળતર રૂા.૩ લાખ અને વધુમાં વધુ વળતર રૂા.૪ લાખ કરાયું છે. આ ઉપરાંત માનવ તશ્કરીનો ભોગ બનેલા કિસ્સામાં ઓછામાં ઓછું વળતર રૂા.૫૦ હજાર અને વધુમાં વધુ રૂા.૧ લાખનું વળતર ચૂકવાશે.ભારત સરકારે નિયત કરેલ યોજનાથી આગળ વધીને રાજય સરકારે વીક્ટીમ્સ પ્રત્યે વિશિષ્ટ લાગણીસભર અભિગમ દાખવી દરેક વિકટીમને મુખ્યપ્રધાનની મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ રૂ. ૩ લાખ સુધીની મર્યાદામાં વિના મૂલ્યે તબીબી સારવાર પૂરી પાડવામાં આવશે.તેમણે ઉમેયું કે, ગૃહ વિભાગ દ્વારા તા.૦૨/૦૧/૨૦૧૬ના રોજ વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૬ અમલમાં મુકવામાં આવી છે. જેમાં વખતોવખત રાજય સરકારે સુધારા પણ કર્યો છે. આ સ્કીમનું અમલીકરણ કાયદા વિભાગ હેઠળની એજન્સી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટની સુચના અનુસાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીને જાતીય હિંસા તથા અન્ય ગુનાઓનો ભોગ બનેલ મહિલાઓને સહાય ચૂકવવા માટે ખાસ યોજના બનાવવા જણાવ્યુ હતું. તેના ભાગરૂપે સંદર્ભમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીએ બનાવેલ યોજના અમલમાં મુકવા સુપ્રિમ કોર્ટે રાજયોને જણાવ્યું હતું. સાથોસાથ રાજય સરકાર સુપ્રિમ કોર્ટ દ્વારા નિયત કરેલ યોજનામાં કોઇ ઘટાડો કરી શકશે નહી, તેવો પણ હુકમમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો અને સુપ્રિમ કોર્ટના હુકમ અનુસાર આ યોજના બાળકો વિરુધ્ધના પોકસો એકટનીચેના વિકટીમને લાગુ પડતી ન હતી પરંતુ રાજ્ય સરકારે ઉદાર અને સંવેદનશીલ વલણ દાખવીને પોકસો એકટનીચેના વીક્ટીમ બાળકોનો સમાવેશ કરી તેમજ માત્ર મહિલાઓને બદલે તમામ વીક્ટીમસને આ લાભ આપવાનો નિર્ણય કરેલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે અનુ. જાતિ / જનજાતિનાં પીડીતને રાજ્ય સરકારની પ્રવર્તમાન યોજના હેઠળ મળતી સહાય ઉપરાંત આ સ્કીમ હેઠળ પણ સહાય મળવાપાત્ર રહેશે.

Related posts

અયોધ્યા કેસ : જસ્ટિસ બોબડે પરત, ૨૬મીએ સુનાવણી

aapnugujarat

ગુજરાતમાંથી માનવ અધિકાર ઉલ્લંઘનની ૨૬,૫૦૦ અરજી

aapnugujarat

મ.પ્ર.-રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે જોડાણ ન કરવા માયાની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1