કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સોમવારના રોજ પાર્ટીની અંદર ચાલી રહેલો વિવાદ જાહેર થઈ ગયો છે. જે નેતાઓએ કાર્યસમિતિની બેઠક અગાઉ પત્ર લખ્યો હતો તેવા તમામ નેતાની પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું કે તેમને આ પત્રથી દુઃખ થયું છે કારણ કે પત્રમાં જે લખાયું અને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું તે માટેનો આ યોગ્ય સમય નહતો.રણદીપ સુરજેવાલાએ કપિલ સિબ્બલને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, રાહુલ ગાંધીએ એવી કોઈ (ભાજપ સાથેના સાંઠગાંઠ) જ વાત કરી નથી. મીડિયામાં જે ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે, તેનાથી મહેરબાની કરીને દૂર રહો અને ભ્રમિત ન થવું. આપણે બધાએ એક સાથે મળીને કામ કરવાનું છે. આપણે મોદી સરકારની વિરુદ્ધ લડાઈ લડવાની છે. આપણે અંદર-અંદર લડીને પોતાને અને કોંગ્રેસ પાર્ટીને નુકશાન નથી પહોંચાડવાનું.નોંધનીય છે કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પત્ર લખનાર નેતાઓ પર ભાજપ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યા બાદ કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે. એવામાં રણદીપ સુરજેવાલા રાહુલ ગાંધીના બચાવમાં મેદાનમાં ઉતર્યા છે. તેમણે રાહુલનો બચાવ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી આવો એક પણ શબ્દ નથી બોલ્યા.