યોગગુરુ તરીકે ઓળખાતા રામદેવ હવે દેશના મોટા બિઝનેસમેન પણ છે અને રાજકારણીઓ સાથે વર્ષોથી સારો એવો ઘરોબો ધરાવે છે. તાજેતરમાં રામદેવ વિવાદમાં છે કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી તેમને વારંવાર ફટકાર પડી રહી છે. સુપ્રીમ કોર્ટ એટલા માટે ગુસ્સે છે કારણ કે રામદેવની કંપની પતંજલિએ બોગસ દવાઓ વિશે ભ્રામક જાહેરખબરો આપી છે અને પછી સુપ્રીમ કોર્ટના હુકમને પણ ગણકારતી નથી. તેના કારણે રામદેવ અને તેમના સાથીદાર બાલક્રિષ્નાએ સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડ્યું છે અને હવે કદાચ કોર્ટની અવમાનના બદલ તેમની સામે એક્શન લેવાશે. રામદેવે પહેલાં તો દવાઓ વિશે ભ્રામક જાહેરખબરો આપી અને પછી સુપ્રીમ કોર્ટને પણ ગાંઠવાની ના પાડી દીધી. રામદેવમાં આટલી હિંમત આવી ક્યાંથી? આ કેસમાં અત્યાર સુધી લડત આપનાર એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ડો. કે. વી. બાબુનું કહેવું છે કે ઉત્તરાખંડ સરકારને રામદેવના ગોટાળાની જાણ હોવા છતાં તેની સામે એક પણ કેસ નથી કર્યો. આ ઉપરાંત સરકારનું આયુષ મંત્રાલય પણ વારંવાર વલણ બદલતું રહ્યું તેના કારણે પતંજલિ જોશમાં આવી ગઈ અને લોકોને ઉલ્લુ બનાવ્યા.
કે. વી. બાબુ એ કેરળ સ્થિત ડોક્ટર છે અને આંખના નિષ્ણાત છે. તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે. છેલ્લા બે વર્ષથી તેઓ રામદેવની ગેરમાર્ગે દોરતી જાહેરખબરોની પાછળ પડી ગયા હતા. અંતે સુપ્રીમ કોર્ટે રામદેવની ઝાટકણી કાઢી છે અને હવે તેમની સામે પગલાં લેવાશે.