અમદાવાદમાં સાઇટ પર પીલરની કામગીરીમાં ભેખડ ઘસી પડતા અકસ્માત સર્જાયો હતો. ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી જેમાં માટીમાં દબાયેલા 2 શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા
અમદાવાદના અમીકુંજ ચાર રસ્તા પાસે સાઇટ રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. સાઇટ પર પિલરની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. અને કામ કરતા બે શ્રમિકો તેમાં દબાયા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી હતી
જેમાં ફાયર સૂત્રના જણાવ્યા પ્રમાણે, લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. બને શ્રમિકો સેફટીના અપૂરતા સાધનો સાથે કામ કરતા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ફાયરના લશ્કરોએ દબાયેલા બે શ્રમિકોને બહાર કાઢી લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોમાં ડામોર જયસિંગભાઈ (ઉ-45) અને ડયમી પરુભાઈ (ઉ-25) નો સમાવેશ થાય છે. હાલ બંને શ્રમિકોને સારવાર અર્થે સોલા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયરના લાશકરોની કામગીરીની ચોતરફથી પ્રશંસાથઈ રહી છે. તેની સાથે બેજવાબદાર બિલ્ડર સામે તંત્ર શુ પગલાં લેશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.