દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે અને શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. જામનગરમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૮ જેટલા લોકોના કોવિડની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. પોઝિટિવ કેસમાં પણ સતત વધારો થતો જાય છે. દિવાળી પહેલા જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો હતો. જોકે દિવાળી બાદ ફરી કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જે જિલ્લા વહીવટી તંત્ર માટે ચિંતાજનક બાબત છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમ કોરોનાને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા તો આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા સમગ્ર જિલ્લામાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે જુદી જુદી કીટ વિતરણ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ સતત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જોકે તહેવારોની સીઝનમાં કોરોનાએ કમબેક કર્યું છે જે આગામી દિવસોમાં લોકો માટે મુશ્કેલીરૂપ બની શકે છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)