ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલી ઈ – રિક્ષા મહાનગરપાલિકાના પાછળના ભાગમાં ધૂળ ખાઈ રહી છે અને ભંગાર હાલતમાં પડી છે. ભાવનગર શહેરની સ્વચ્છતા અને સુખાકારીમાટે ખરીદવામાં આવેલી ઈ – રિક્ષા ખુદ કચરા સમાન કબાડી બની ગઈ છે. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઈ – રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ – રિક્ષા ભાવનગરમાં સ્વચ્છતા અને સુખાકારીના બેનરો સાથે શહેરના અલગ અલગ વોર્ડમાં ફરતી હતી. હાલ આ ઈ – રિક્ષા ભંગાર હાલતમાં પડી છે. આ ઈ – રિક્ષા બેટરી સંચાલિત હોય પોલ્યુશનમાં પણ ઘટાડો થઈ શકે તેમ હોય ત્યારે ભારે રંગંચંગે શહેરભરમાં ફેરવવામાં આવતી હતી અને ત્યારે સ્વચ્છતાની થીમ પર ફરતી હતી. લાખો રૂપિયાનો ધુમાડો કરી ભાવનગર મહાનગરપાલિકાએ આ રિક્ષાઓ બિલ્ડિંગના પાછળના ભાગમાં મૂકી દીધી છે. આ ઈ – રિક્ષા કોરોના કાળમાં સ્વચ્છતા માટે વિવિધ સંદેશાઓ સાથે ફરતી હતી પણ મહાનગરપાલિકાએ આ બેટરી સંચાલિત ઈ – રિક્ષાનો ઉપયોગ બંધ કરી દેતા આ રિક્ષાઓ કબાડી હાલતમાં પડી છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)