પાવીજેતપુર તાલુકાના કરાલી ગામે પટેલ ફળિયામાં બપોરના સમયે એકાએક આગ લાગતાં એક સાથે આવેલા પાંચ મકાનો આગમાં બળી જવા પામ્યા હતા જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકામાં કરાલી ગામે પટેલ ફળિયામાં રહેતા સુરજનભાઈ નારસિંગભાઈ કોલચાના મકાનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના લોકો બૂમાબૂમ કરી દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુ રહેતા ઠાકોરભાઈ મોતીભાઈ રાઠવા, શંકરભાઈ મોતીભાઈ રાઠવા , શૈલેષભાઈ જવાહરભાઈ કોલી હસમુખભાઈ હરિયાભાઈ કોલચા્ના મકાનોમાં પણ આગ લાગી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચેય મકાનોની ઘરવખરી, મોસ્ટીમાં ભરેલા અનાજ તેમજ ચાર મહિના ચાલે તેટલું ભરેલ ઢોરોનું બાટુ તમામે તમામ બળીને ખાખ થઇ ગયા હતા. આ સમયે પાવીજેતપુર ,બોડેલી, છોટાઉદેપુરથી પાણીના બમબા બોલાવી મહામુસીબતે આગ ઉપર કલાકોની મહેનત બાદ કાબુ મેળવ્યો હતો. આગ ઉપર કાબુ મેળવાય ત્યાં સુધી આ પાંચે મકાનની ઘર વખરી, અનાજ, પતરા, લાકડા બળીને ખાખ થઇ ગયા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)