કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે તેમની બીજી લોકસભા બેઠક વાયનાડમાં એક રેલી દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. રાહુલે રેલીમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું કે, ‘તે અહીં પોતાની ‘મન કી બાત’ કરવા નથી આવ્યા પરંતુ તે લોકોની સમસ્યાઓને સમજવા અને તેનો ઉકેલ લાવવા માટે આવ્યા છે,’ આ વિસ્તારમાં લોકો રાત્રે મુસાફરી નથી કરી શકતા, મનુષ્ય-પ્રાણી વચ્ચે ઘર્ષણ તેમજ સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ જેવી મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘હું ખોટા વચનો પણ નહીં આપું, તમારા મનની વાત સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છું. હું વડાપ્રધાન જેવો નથી પહું તમને અહીં બે કરોડ રોજગારી, રૂ. ૧૫ લાખ આપીશ તેવો વાયદો નહીં કરું. ખેડૂતોને જે જરૂર હશે તે આપીશ. ખોટું નહીં બોલું કારણ કે હું તમારી બુદ્ધિમતાનો આદર કરું છું.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જનમેદનીને સંબોધતા રાહુલે જણાવ્યું કે, ‘મારે ટૂંકા ગાળાના સંબંધો નથી બાંધવા. હું તમારી સાથે લાંબો સમય સુધી જોડાયેલો રહીશ. વાયનાડની બહેનોને કહીશ કે હું તેમના ભાઈ, પિતા અને પુત્ર સમાન છું. દેશના લોકોએ કેરળ અને વાયનાડ પાસેથી ઘણું શીખવા જેવું છે.
રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતની લોકસભા બેઠકથી ચૂંટણી લડવાના નિર્ણય અંગે જણાવ્યું કે, ‘દક્ષિણ ભારતના લોકો પોતાને દેશથી જુદા પાડી દેવાયા હોવાનો અહેસાસ કરી રહ્યા હતા. તેમનો અવાજ પણ મહત્વનો છે તેવું માની મે આ બેઠક પસંદ કરી છે.