માળીયામીંયાણા પંથકમાં તાજેતરમાં આવેલ પૂરથી અસરગ્રસ્ત અનેક વાંઢ વિસ્તારના લોકો કેશડોલ્સ સર્વેે અને મિલ્કત નુકસાનીના સર્વેથી વંચિત રહેતા અસરગ્રસ્ત પરિવારોમાં રોષ વ્યાપ્યો છે.
માળીયામીયાણામાં મચ્છુ જળ હોનારતને ૧૮ દિવસ થયા છતાં વાંઢ વિસ્તારોના ગરીબ અસરગ્રસ્ત પરિવારો કેશડોલ્સના સર્વેથી વંચિત રહી જતા સહાય મેળવી શકયા નથી. તેમજ મચ્છુના પૂરથી અનેક પરિવારોના મકાનો દિવાલો ધરાશાયી થઈ જતા નુકસાન થયું હોવા છતાં તંત્ર દ્વારા નુકસાનીનું વળતર ચુકવવા કોઈ સર્વે થયો નથી.૧૮ દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોઈ સર્વેયર ટીમના અધિકારી ફરકયા પણ નથી ત્યારે ટીંટોડીમોરા વાંઢ વિસ્તાર, રાખોડીયા વાંઢ, ખારાવાંઢ, શેલીયાવાંઢ સહિતના વાંઢ વિસ્તારોમાં પૂર અસરગ્રસ્ત ગરીબ પરિવારો કેશડોલ્સના સર્વે અને સહાયથી વંચિત રહ્યા છે. મોવરના ટીંબા અને ટીટોડીમોરા વાંઢ વિસ્તારમાં અત્યાર સુધી તંત્ર ફરકયું પણ નથી ત્યારે જળ હોનારતના અસરગ્રસ્તોના સર્વે માટે આવેલ સર્વેયર ટીમે હાઈવેની હોટલ પર બેસીને ચા નાસ્તો કરી અમુક વિસ્તારોના સર્વે કરાતા અનેક પરિવારો કેશડોલ્સની સહાય અને મકાન નુકસાનની સહાયથી વંચિત રહ્યા છે.