સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાનાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યા જેવો ઘાટ ઝાલાવાડનાં ખેડૂતો સાથે સર્જાયો છે.ત્યારે મુળી, વઢવાણ, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ગામેગામ સભા યોજી સંગઠન શક્તિ વધે તે માટે આયોજન શરૂ કરવામાં આવેલ છે.ત્યારે આજે ખંપાળીયા ગામે ચાર ગામનાં ખેડૂતની સભા યોજાઈ હતી જેમાં વડધ્રા,રાસીગપર,ગઢડા સહિત ગામોનાં ખેડૂતો હાજર રહ્યા હતા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરીને આગામી સમયમાં મોટી લડતના એંધાણ આપેલ હતાં.સરપંચો એક જૂથ થઈ લડત આપી રહ્યા છે
ત્યારે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં બહુ મોટુ આંદોલન આપવામાં આવશે સરકાર પાસે હજુ સમય છે ખેડૂતોની માંગ સ્વીકારીને તાત્કાલિક ધોરણે નર્મદાનાં પાણી ખેડૂતોને આપો ખેડૂતો અને ખેતીને બચાવી લો.નહીંતર આક્રમક લડત આપવા ખેડૂતો કટ્ટીબંધ બન્યા છે જેનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે.તેમજ ખંપાળીયા સરપંચ જીવણભાઈએ પણ જે જરુર પડે જે રીતે લડત આપવાની થાય તે રીતે આપવાની હાંકલ કરી હતી તેમજ આગેવાનો પોલભાઈ કરપડા,કીશોરભાઈ સોળમીયા,વલકુભાઈ કરપડાએ પોતપોતાના વક્તવ્ય રજૂ કરેલ હતાં.હાલ આજે મુળી તાલુકાનાં સરા ગામે પણ ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામજનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.