અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને આજે કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી
. આ મામલે હવે 11 ફેબ્રુઆરીના રોજ 10.45એ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે, અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે 3 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે આવતીકાલ સુધીનો જ સમય આપ્યો છે અને 11 તારીખે રજૂઆત કરવા કહ્યું છે. આજે સાંજે 5 વાગ્યા સુધી બચાવ પક્ષના વકીલોએ જેલમાં દોષિતોને મળવા જવાનું રહેશે અને આવતીકાલ સુધીમાં જે પુરાવા મેળવવાના હોય તે મેળવી લેવાના રહેશે.