સમી તાલુકાના વરાણા ગામે ખોડિયાર માતાના મંદિર ખાતે વઢિયાર પંથકનો ઐતિહાસિક પરંપરાગત મેળો ભરાય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે મેળો બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ભક્તોની ભીડના કારણે કોરોના સંક્રમણ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી તારીખ 12થી 27 ફેબ્રુઆરી પંદર દિવસ વરાણા મંદિર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વરાણા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ખોડિયાર માતા મંદિર ખાતે મહા સુદ એકમથી મહા સુદપૂનમ સુધી 15 દિવસનો લોક મેળો ભરાય છે. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છ અને પરપ્રાંતમાંથી પણ લોકો માતાજીના દર્શન માટે આવે છે. 15 દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકો માતાજીના દર્શન કરે છે. ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી વીરદાનભાઈ ગઢવીના જણાવ્યા પ્રમાણે મુંબઈ, રાજસ્થાન, દિલ્હી તથા ગુજરાતભરમાંથી ભક્તો મહા મહિનામાં દર્શનાર્થે વરાણા આવે છે .જેથી ભીડ એકત્રિત થતાં કોરોના સંક્રમણ અટકાવવા 15 દિવસ મંદિરનો દરવાજો બંધ કરી સંપૂર્ણ બંધ રાખાશે.