રાજકોટનાં બેડી યાર્ડમાં આ વખતે મગફળીની સૌથી વધુ આવક જોવા મળી છે. યાર્ડનાં પ્લેટફોર્મ અને ગ્રાઉન્ડ જાણે મગફળીથી છલકાયાં છે. ગત ૨૨ તારીખે યાર્ડમાં ૭૦ હજાર ગુણી મગફળીની આવક થઈ છે. પરંતુ અહીં પણ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકારે ૧ હજાર રૂપિયા ભાવની જાહેરાત કરી છે છતાં પણ ખેડૂતોને હાલ મગફળીનાં ૭૫૦થી ૯૦૦ રૂપિયા જ મળી રહ્યાં છે.એક તરફ મગફળીનો પાક પાકી ગયો છે. બીજી તરફ સરકારે આગાની ૧૫ નવેમ્બરથી ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત કરી છે એટલે કે દિવાળી પછી જાહેરાત કરી છે. જેથી ખેડૂતોએ મજબૂરીમાં મગફળીનું સસ્તાભાવે વેચાણ કરવું પડી રહ્યું છે. કારણ કે, દિવાળીનાં તહેવારમાં ખેડૂતોને રૂપિયાની મોટા પાયે જરૂર પડતી હોય છે. પરંતુ સરકાર દિવાળી પછી ખરીદી શરૂ કરશે. એટલે કે, ૯૦ ટકા જેટલી મગફળી તો પહેલાથી જ વહેંચાઈ જશે.એટલે કે ટેકાનાં ભાવે મગફળી ખરીદવાની વાતો કરનારી સરકાર ખેડૂતોની સાચી જરૂરીયાત તો સમજી જ નથી શકી. તો દિવાળી પછીની ખરીદીમાં ભ્રષ્ટાચાર ફરી થાય તો પણ નવાઈ નહીં. કારણ કે, ખેડૂતો પાસે તો મગફળી હશે જ નહીં. જેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવશે અને ખેડૂતોનાં નામે પોતાની પાસે રહેલી મગફળી વહેંચી તગડી કમાણી કરશે. તો ભ્રષ્ટાચારીઓ પણ ટાર્ગેટ પુરો કરવા માટે મોટો ભ્રષ્ટાચાર આચરે તો નવાઈ નહીં.