ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૧ને ૨૯ મેચો બાદ અનિશ્ચિતકાળ સુધી માકૂફ રાખવાની ફરજ પડી છે. આ ટી૨૦ લીગની બાકી રહેલી ૩૧ મેચો હવે ક્યારે અને ક્યાં રમાશે તેને લઈને હાલ કોઈ જ નિર્ણય લેવાઈ શક્યો નથી. ભારતમાં કોરોનાની ઘાતક બીજી લહેરને પગલે કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવતા આઈપીએલના ખેલાડીઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાથી લીગને માકૂફ રાખવામાં આવી હતી. હવે આઈપીએલની ફ્રેન્ચાઈઝીસ માટે એક માઠા સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ માટે આઈપીએલની બાકી રહેલી મેચોમાં ભાગ લેવું મુશ્કેલ બન્યું છે. જો આ વર્ષે આઈપીએલની બાકીની મેચોનો કાર્યક્રમ ફરીથી જાહેર થશે તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ તેમાં ભાગ નહીં લઈ શકે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે આ માહિતી આપી હતી.આઈપીએલ બાયો બબલમાં રમાડવામાં આવી હોવા છતાં કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા ૪મેથી આઈપીએલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. હવે બાકી રહેલી ૩૧ મેચો સપ્ટેમ્બર અંતમાં ટી૨૦ વર્લ્ડ કપ અગાઉ અથવા નવેમ્બરમાં રમાડવાની સંભાવના રહેલી છે. આ સમયગાળામાં ઈંગ્લેન્ડના ટોચના ખેલાડીઓ તેમના નિર્ધારિત કાર્યક્રમમાં વ્યસ્ત હશે. ઈંગ્લેન્ડની ટીમ સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબરમાં બાંગ્લાદેશ પ્રવાસે જશે. ટી૨૦ વર્લ્ડ કપ પછી એશિઝ સીરિઝનો પ્રારંભ થશે.જાઈલ્સે જણાવ્યા મુજબ તેમને એફટીપી કાર્યક્રમ વ્યસ્ત છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પ્રવાસ આ વર્ષે થશે. આઈપીએલની જુદી જુદી ટીમોમાં ઈંગ્લેન્ડના ૧૧ ખેલાડીઓ રમે છે. જાઈલ્સે વધુમાં જણાવ્યું કે, આઈપીએલની બાકીની મેચોનો કાર્યક્રમ શું છે તેની અમને ખબર નથી. આ વર્ષે ન્યૂઝીલેન્ડ સામેની મેચને લીધે અમારો શીડ્યૂલ ઘણો વ્યસ્ત છે. અમારે ટી૨૦ વર્લ્ડ કપ અને ત્યારબાદ એશિઝ સીરિઝ પણ કાર્યક્રમનો ભાગ છે. વ્યસ્ત કાર્યક્રમને લીધે અમારે ખેલાડીઓના કાર્યબોજને પણ ધ્યાનમાં રાખવું પડે છે.ઈસીબીએ પોતાની રણનીતિ બદલી હોવાના એ સુચનને જાઈલ્સે ફગાવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે આઈપીએલ રમવાને કારણે તેમના ખેલાડીઓ જૂનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી બહાર રહી શકે છે. જાઈલ્સના મતે ન્યૂઝીલેન્ડની વાત અલગ હતી. આ સીરિઝનો કાર્યક્રમ જાન્યુઆરી અંતમાં તૈયાર થયો હતો અન ત્યાં સુધીમાં ખેલાડીઓને આઈપીએલ રમવા માટે એનઓસી પત્ર મળી ગયા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ