વલસાડ જિલ્લામાં કોરોના વાયરસએ મોતનું તાંડવ સર્જી દીધું હોય તેમ વલસાડ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી એક પછી એક લાશો બહાર નીકળી રહી છે. સિવિલના કોવિડ-૧૯ સેન્ટર પરિસરમાં મૃતકોના પરિજનોના કલ્પાંતથી મોતનો માતમ પ્રસરી ગયો છે. બીજી તરફ કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીના સ્વજનોને પોતાનું આપ્તજન ગુમાવવાનું દુઃખ છે, તેની સાથે જ મૃતદેહનો કબ્જો ચાર-ચાર દિવસથી અપાઇ રહ્યો નથી. વલસાડ સિવિલના પી.એમ. રૂમના ઇન્ચાર્જ તબીબે તા. ૧૩મી એપ્રિલથી આજદિન સુધીના ૧૬ જેટલા મૃતકોની યાદી સિવિલના કોવિડ-૧૯ વોર્ડમાં જઇને આપી હતી. પરંતુ ત્યાંથી મૃતદેહને નીચે મોકલવામાં આવી રહ્યો ન હોવાને કારણે દર્દીઓના સ્વજનો પરેશાન થઇ ગયાં છે. જીવતા દર્દીઓના બાજુના બેડો પર ત્રણ-ત્રણ દિવસથી પડી રહેલી લાશો ડીકમ્પોઝ થવા માંડતા, ભયંકર દુર્ગંધ મારવા માંડી છે.
કોવિડ-૧૯ વોર્ડમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહો સમયસર નીચે મોર્ગમાં મોકલવામાં આવી રહ્યા નથી. ખેરગામના પાણીખડક ગામે રહેતા નીરૂબેન ગુલાબભાઇ ગાંગોડા ગત તા. ૧૫-૦૪-૨૧ના રોજ સિવિલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. તેમના સ્વજનો ૩ દિવસથી મૃતદેહ માટે ફાંફા મારી રહ્યા હતાં, પરંતુ સિવિલ હોસ્પિટલમાંથી મૃતદેહ અપાતો ન હોવાને લઇને સંદેશે સિવિલ પરિસરમાં સ્થિત પી.એમ.રૂમના ઇન્ચાર્જ ડૉ. કમલેશ લાડને પૂછતા, તેમણે જણાવ્યું કે, તા.૧૩થી તા.૧૫ એપ્રિલ સુધીના દિવસોની ૧૬ લાશોની યાદી કોવિડ-૧૯ સેન્ટરમાં જઇને આપી આવ્યા છે. પરંતુ ત્યાંથી રિપોર્ટ સાથેના મૃતદેહ નીચે આવતા જ નથી, તો મૃતકોના સ્વજનોને તેઓ કેવી રીતે બોડી આપીએ.
વલસાડ સિવિલમાં આવેલું કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે. જેને કારણે કોરોના દર્દીઓના મૃતદેહો બેડ પર જ રાખી મુકવામાં આવે છે. આ દ્રશ્યો બિહામણાં અને ત્યાં દાખલ દર્દીઓ માટે દર્દનાક છે. લાશો સમયસર કોરોના વોર્ડમાંથી ઉંચકાતી ન હોવાથી વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓ ૨ દિવસથી મૃતદેહો સાથે રહેતા હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તેને માટે કોણ જવાબદાર છે તે શોધી કાઢીને ખામી દૂર કરવા માટે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલના વહીવટ પર નજર રાખવા માટે નિમણૂંક કરાયેલા ડે.કલેકટર કક્ષાના અધિકારી સહિતના અગ્રણીઓએ તાત્કાલિક પ્રયાસો હાથ ધરવાની જરૂર છે. અન્યથા લોકોનો ગુસ્સો ગમે ત્યારે ફૂંટી નિકળશે તે નક્કી છે.