હળવદ તાલુકાના સુંદરગઢ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અલીમોહમદભાઈ રહેમતુલા અબ્બાસીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે તેમને તેમના પરિવારજનો મોરબીથી એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જતા હતા. આ એમ્બ્યુલન્સ હળવદના સુંદરગઢ નજીક પહોંચી ત્યારે ત્યાં ટ્રક સાથે એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
આ ગોઝારા અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દી અલીમોહમદભાઈ રહેમતુલા અબ્બાસી તેમજ તેમના પુત્ર યાસીનભાઈ અલીમહોમદભાઈ અબ્બાસી અને એમ્બ્યુલન્સના ડ્રાઇવર જીતુભાઈ મુન્નાભાઈ ઝાલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એમ્બ્યુલન્સમાં બેઠેલા રેહાનાબેન યાસીનભાઈને ગંભીર ઇજા થવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાછલી પોસ્ટ