શહેરના નરોડા વિસ્તારમાં વહેલી સવારે એક પોલીસ કોન્સ્ટેબલની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતે ચિક્કાર દારૂ પીધા બાદ આજે વહેલી સવારે કોન્સ્ટેબલની નરોડા સ્મશાનગૃહ પાસે રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. પોલીસે મૃતક કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને તેના પીએમ રિપોર્ટ બાદ જ હત્યાનું સાચુ કારણ સ્પષ્ટ થઇ શકશે તેવું પોલીસ માની રહી છે. પોલીસ કોન્સ્ટેબલની લાશ મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી છે કે પછી અકસ્માતના કારણે તેમનું મોત થયુ છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. બીજીબાજુ, પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વહેલી સવારે પોલીસ કંટ્રોલરૂમમાં નરોડા વિસ્તારમાં રહેતા એક જાગૃત નાગરિકે ફોન કર્યો હતો કે નરોડા સ્મશાનગૃહ નજીક એક પુરૂષની લાશ પડી છે. પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ તાત્કાલિક નરોડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. યુવકની લાશના સમચાર મળતાંની સાથે નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી જ્યાં તેમને એક પુરૂષની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી હતી. પોલીસે રોડ પરથી મળી આવેલી પુરૂષની લાશ અંગે તપાસ કરી તો તે ચોંકી ઊઠ્યા હતા, કારણ કે જે પુરૂષનું મોત થયું છે તે એક પોલીસ કોન્સ્ટેબલ હતો. પોલીસ હેડક્વાર્ટરમાં એફ-૧ કંપનીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ રમાભાઇ પરમારનું મોડી રાતે નરોડા સ્મશાનગૃહ નજીક મોત થયુ હતું. દિનેશભાઇ ઘણા વર્ષથી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને નરોડા વિસ્તારમાં આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં તેમના પરિવાર સાથે રહે છે. મોડી રાતે સિવિલ ડ્રેસમાં દિનેશભાઇ ચાલતા ચાલતા આવતા હતા ત્યારે તેમનું મોત થયું છે. બીજીબાજુ, આ સમાચારને પગલે સમગ્ર પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે ઝોન-૪ના ડીસીપી અને એસીપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કોન્સ્ટેબલ દિનેશભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે દિનેશભાઇ હત્યા થઇ છે કે પછી તેમનું અકસ્માતમાં મોત થયું છે તે મામલે તપાસ શરૂ કરી છે. દિનેશભાઇની લાશ મળી તે સ્થળ પર પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યું છે. પોલીસ ઘટનાસ્થળ પર હાજર લોકોને ઘટના સંબંધે પૂછતા હતા ત્યારે એક યુવકે પોલીસને જણાવ્યું હતું કે દિનેશભાઇ મોડી રાતે લથડિયાં ખાતા ખાતા આવતા હતા, જ્યાં તેઓ અચાનક જમીન પર પડી ગયા હતા. ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું છે કે દિનેશભાઇ હેડક્વાર્ટરમાં એફ-૧ કંપનીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે મોડી રાતે તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા અને ચાલતા ચાલતા રોડ પર આવતા હતા જ્યાં તેમનું મોત થયું છે. હાલ પ્રાથમિક તપાસમાં દિનેશભાઇનું મોત અકસ્માતથી થયું હોવાનું સામે આવ્યું છે. નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને દિનેશભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દિનેશભાઇની હત્યાનું સાચું કારણ જાણી શકાશે. દિનેશભાઇની લાશ લોહીથી લથપથ હાલતમાં હતી, જેથી મોડી રાતે કોઇ વાહનચાલકે તેમને અડફેટમાં લીધા હોય તેવું પણ લાગી રહ્યું છે.
પાછલી પોસ્ટ