Aapnu Gujarat
ગુજરાત

વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીનાં હસ્તે ગરૂડેશ્વર તાલુકાનાં કારેલી ગામેથી કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

 સમગ્ર ગુજરાતમાં આજથી પ્રારંભાયેલ કન્યા કેળવણી / શાળા પ્રવેશોત્સવની રાજ્યવાપી ઉજવણીનાં ભાગરૂપે આજે ગુજરાતનાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીએ ગરૂડેશ્વર તાલુકાનાં કારેલી ગામની પ્રાથમિક શાળા ખાતેથી ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓને મોઢુ મીઠુ કરાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેવી જ રીતે ભરૂચનાં સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ આજે સવારે ગરૂડેશ્વર તાલુકાનાં જુનવદ, દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મોતિસિંહ વસાવાએ દેડીયાપાડા તાલુકાનાં સામોટ, જ્યારે જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવાએ  નાના રાયપુરા ગામની પ્રાથમિક શાળા ખાતેથી ધો- ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓનને રંગેચંગે શાળા પ્રવેશ કરાવીને બાળકોને પ્રોત્સાહિક કર્યાં હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં પ્રારંભાયેલા શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લામાં રાજ્ય કક્ષાએથી ૧૫ જેટલા મહાનુભાવોએ તેમનાં આજના નિર્ધારીત રૂટ્સ મુજબ જે તે પ્રાથમિક શાળા-માધ્યમિક શાળાઓ ખાતે ધોરણ- ૧ માં પ્રવેશપાત્ર ભૂલકાંઓ, ધોરણ- ૯ ના વિદ્યાર્થીઓને પ્રવેશની સાથોસાથ આંગણવાડી ભૂલકાંઓનું પણ ઉમળકાભેર સ્વાગત કરીને વહાલપૂર્વક તેમને પ્રવેશ કરાવ્યો હતો. પ્રથમ દિવસનાં આજના શાળા પ્રવેશ દરમિયાન લાભાર્થી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ, ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનારા કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહિક કરાઇ હતી.

જિલ્લામાં મંત્રીશ્રી, સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપરાંત રાજ્યકક્ષાએથી શાળા પ્રવેશોત્સવ માટે ફાળવાયેલા વરિષ્ઠ અધિકારીઓ / મહાનુભાવોમાં એડીશનલ ડી.જી.પી. તીર્થરાજ, વન સંરક્ષકશ્રી સી.કે. સોનવણે, શ્રી ડી.ટી. વસાવડા, ડૉ. એચ. આર. પ્રબુધ્ધ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવશ્રી ડૉ. ધનંજય દ્વિવેદી, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ, નાયબ વન સંરક્ષક સુશ્રી નીશા રાજ, મદદનીશ વન સંક્ષકશ્રી સાદીક મુજાવર, સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવશ્રી સપના વી. રણા, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના લીગલ ઓફિસરશ્રી એ.એસ. પટેલ વગેરે સહિતનાં અધિકારીઓએ આજે તેમના સંબધિત વિસ્તારની શાળાઓમાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે તે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સરગવા-ફળનાં ઝાડનું વૃક્ષારોપણ કરાયું હતું.

આ પ્રસંગે જે તે શાળાઓમાં યોગ પરિચય-નિદર્શન, આંગણવાડીનાં બાળકોને રમકડાનું વિતરણ, ધોરણ- ૩ થી ૮ નાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પુસ્તક દ્વારા સન્માન, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ NMMS / NTSC ની પરીક્ષામાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોનાં હસ્તે સન્માન પણ કરાયું હતું.

નર્મદા જિલ્લામાં આજે તા. ૮ મી થી ૧૦ મી જૂન સુધી પ્રથમ તબક્કામાં અને તા. ૨૨ મીથી ૨૪ મી જૂન દરમિયાન બીજા તબક્કાનાં શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમ દરમિયાન ધોરણ- ૧ માં ૮૨૧૩ અને આંગણવાડીમાં ૩૯૩૫ ભૂલકાંઓને શાળા પ્રવેશનાં લક્ષ્યાંકની સાથોસાથ ૨૨૯૮ જેટલી કન્યાઓને રૂા. ૪૪૯૦ લાખની રકમના વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવાનું અને ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનાર ૩૬૦૦ જેટલી કન્યાઓને સરસ્વતી સાધન યોજના અંતર્ગત સાયકલ વિતરણનું સુચારૂ આયોજન જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ ઘડાયુ છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી. બારીયાની સીધી દેખરેખ હેઠળ આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી વિદ્યાર્થીઓને જે તે લાભોનાં વિતરણની કામગીરી ચાલી રહી છે.

        નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની ૬૯૦ પ્રાથમિક શાળાઓ, ૪૫ આશ્રમ શાળા, ૨ કેજીવીબી, ૨ મોડેલ સ્કુલ સહિત કુલ- ૭૩૮ જેટલી જિલ્લાભરની શૈક્ષણિક સંસ્થાઓમાં કન્યા કેળવણી – શાળા પ્રવેશોત્સવની કામગીરીનો આજથી પ્રારંભ કરાયો છે અને રાજ્યકક્ષાનાં મહાનુભાવો અને સ્થાનિક અધિકારીશ્રીઓ જિલ્લા-તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિનાં અધ્યક્ષશ્રી, રાજ્ય-રાષ્ટ્રિય પારિતોષિક વિજેતા શિક્ષકો વગેરે ભૂલકાંઓના શાળા પ્રવેશ માટે આજથી ગામડાંઓ ખૂંદી રહ્યાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએથી પધારેલા વરિષ્‍ઠ સનદી અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓ નર્મદા જિલ્‍લામાં સી અને ડી ગ્રેડની તેમજ ડ્રોપ આઉટ રેટ વધારે હોય તેવી કેટેગરી- ૧, ૨ અને ૩ ની શાળાઓમાં ભૂલકાંઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો. આ મહાનુભાવોએ આજે સવારે પ્રાથમિક શાળામાં અને બપોરે માધ્યમિક શાળામાં એમ દિવસમાં બે શાળાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત જિલ્‍લાના અન્ય રૂટ્સમાં જિલ્‍લાના અધિકારીશ્રીઓએ દિવસ દરમિયાન ૩ જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું. મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવ સાથે પ્રિ-ગુણોત્સવની કામગીરી પણ હાથ ધરાઇ, જેમાં ધો.૪ થી ૮ અને ધોરણ- ૯ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ગત વાર્ષિક પરીક્ષાઓની ઉત્તરવહીઓની મહાનુભાવો દ્વારા ચકાસણી કરાઇ હતી તેમજ ધો-૨ અને ધો-૩ ના વિદ્યાર્થીઓની વાંચન-ગણન-લેખનની પૃચ્છા કરી સમીક્ષા પણ કરાઇ હતી.

Related posts

Gujarat BJP : ગાંધીનગર ખાતે ‘પેજસમિતિ મહાસંપર્ક અભિયાન’ કાર્યક્રમ યોજાયો

editor

વટવામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ૧૦ વર્ષની કેદ

aapnugujarat

હિંમતનગર, સાબરકાંઠા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1