વટવામાં ચાર વર્ષની બાળકીને અડપલાં કરીને દુષ્કર્મ આચનાર આરોપી સુધીર કમલેશકુમાર કોરીને એડીશનલ સેશન્સ જજ વી.જે.કલોત્રાએ ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યુ છે કે, સામાન્ય શંકાનો આધાર લઈ આરોપીને લાભ આપી શકાય નહીં. શંકા વ્યાજબી અને પ્રબળ હોવી જોઈએ. ઉપરાંત ૧૦૦ દોષિતો ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તે ખ્યાની સાથે સાથે એક દોષિત પણ સજા રહિત નિર્દોષ ન છુટે તે જોવાની પ્રમાણિક ફરજ અદાલતની છે.
આ કેસની વિગત એવી છે કે, વટવામાં રહેતા સુધીર કમલેશકુમાર કોરીએ તેની પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકી સાથે ગત તા૧૪-૦૬-૨૦૧૬ના રોજ અડપલા કરીને દુષ્કર્મ આચર્યુ હતુ. જે અંગે બાળકીના માતાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સુધીરની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ ચાલતા સરકારી વકીલ નીલેષ લોધાએ ૧૫ સાક્ષીઓ અને ૨૧ દસ્તાવેજોના આધારે કેસ સાબીત કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, ફરિયાદપક્ષે કેસ પુરવાર કરવામાં સફળ રહ્યુ છે.
આરોપી સામે ગંભીર ગુનો છે. નાના ભૂલકાં પર થતા અત્યાચારો પર લગામ લાગે અને આવા ગુના કરતા લોકોને વધુમાં વધુ સજા થાય તે માટે સરકારે પોકસોનો કાયદો અમલમાં મુકયો છે. આરોપીએ આચરેલ કૃત્ય સાબીત થાય છે,ત્યારે આવા ગંભીર પ્રકારના કેસમાં સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.