કચ્છમાં કોરોના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો થતાં પરિસ્થિતિ કાબુ બહાર જઇ રહી છે, તેની સામે મૃત્યુઆંકમાં પણ ભારે ઉછાળો આવતાં પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે સ્મશાનમાં લાકડા ખુટી પડયાં. જેને લઇને સંચાલકો પણ દ્વિધામાં મુકાવાનો વારો આવ્યો હતો. એક તરફ ભુજનાં સ્મશાનમાં મૃતકોની અગ્ની સંસ્કાર આપવા માટેની લાઇનો લાગતાં લાકડા શોધવા જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઇને સંચાલકો દ્વારા વિવિધ દાતાઓને અપિલ કરતાં ગણતરીના કલાકોમાં જ દાતાઓએ લાકડાનો જાણે ધોધ વહેવડાવ્યો હોય તેમ સ્મશાનમાં લાકડા મુકવાની જગ્યા ખુટી પડી. આવિજ સ્થિતિ સુખપરમાં પણ સર્જાઇ હતી, ત્યાં પણ લાકડા ખુટી પડતાં કંડલા ટીમ્બર એસોસીએસન મદદે આવ્યું હતું અને લાકડાની પ૦ ગાડી આપવા માટેની તૈયાર બતાવીને તુરંત ગાડીઓ રવાના કરાતાં અહીં પણ પુરતા પ્રમાણમાં લાકડાઓ પહોંચી જતાં વધુ ગાડી મોકલવા માટે ના પાડવી પડી હતી.
આભ ફાટયુ હોય ત્યા થીગડા કેમ મારવા એવી સ્થિતિ વચ્ચે પણ માનવતા હજુ જીવતી હોવાના પુરાવાઓ અવાર નવાર મળતાં રહે છે. તેમાય જ્યારે એવા સ્થળે દાન આપવા માટેની અપિલ આવે ત્યારે દાતાઓ ઘડીનો પણ વિલંબ કર્યા વગર હાથ લંબાવા ખચકાતા નથી, કચ્છની આજ તાસીર અને ખુમારી છે. અત્યારનાં કપરા કોરોના કાળમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, જેને લઇને સ્મશાનમાં પણ સતત ચિતાઓ ખડકાતી રહે છે. આવી પરિસ્થિતિમાં લાકડાઓ ખુટી પડે ત્યારે પરિસ્થિતિ કેટલી હદે વણસી ગઇ છે તેનો ચિતાર મળી રહે છે. આવી જ સ્થીતી ભુજનાં ખારીનદીનાં સ્મશાનમાં સર્જાઇ હતી, એક બાદ એક બોડીનાં અગ્ની સંસ્કાર ચાલુ રહેતા લાકડાઓ ખુટી પડયા હતાં. તુરંત ભતનાથ સેવા સંસ્થાનના અજીત પરમારે લાકડા માટે અપિલ કરતા ગણતરીના કલાકોમાં લાકડાનો ધોધ વછુટયોને પરિસ્થિતિ એ આવીને ઉભી રહી કે લાકડા મુકવા માટે પણ જગ્યા ખુટી પડી.
આવી જ સ્થિતિ સુખપર સ્મશાનમાં પણ સર્જાઇ હતી અહી પણ લાકડા ખુટી પડયા હોવાની તેમજ તુરંત લાકડાની જરૂર હોવાની સંચાલકોએ ભુજનાં જાગ્રૂત નાગરિક ભૌમિક વચ્છરાજાનીને કરેલી અપિલને ધ્યાને લઇને તેમણે ત્રિકમભાઇ વાસણભાઇ આહિરનો સંપર્ક કરતાં તેમણે તુરંત કંડલા ટીમ્બર એસોસીએશને સ્થિતિથી વાકેફ કર્યા. ટીમ્બર એસો. દ્વારા ૫૦ ગાડી તુરંત મોકલવાની અને આ સિવાય પણ વધુ જોઇએ તેટલા લાકડા આપવા માટે સામેથી તૈયારી દર્શાવી. જેને કારણે અહીં પણ પુરતા પ્રમાણમાં લાકડાઓ ઉપલબ્ધ થઇ જતાં વધુ ગાડીઓ ન મોકલવા ટીમ્બરને અપિલ કરવી પડી હતી.