ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જનતાએ જાકારો આપ્યા બાદ પાર્ટીની હાલત કફોડી બની ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસનો જનાધાર મજબૂત કરવા અને કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકવા માટે હવે ચૂંટણીના ચાણક્ય ગણાતા અને રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરને જવાબાદરી સોંપવામાં આવી શકે છે. પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહનો હાથ ઝાલ્યા બાદ હવે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવાનું કામ કરી શકે છે.
હાલ પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહ્યાં છે. પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની રણનીતિ ઘડવાની જવાબદારી પ્રશાંત કિશોરના શિરે જ છે. જે બાદ ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રશાંત કિશોરને જ જવાબદારી સોંપી શકે છે. આ માટે પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાર્ટી હાઈકમાન્ડ સાથે સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
જાે આવું થાય છે અને પ્રશાંત કિશોરની રણનીતિ પ્રમાણે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શન કરે છે, તો તેની સીધી અસર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર પણ પડી શકે છે.
આગળની પોસ્ટ