દેશના ઘણા રાજ્યોમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક છે, ત્યારે દેશના એક રાજ્યમાંથી સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અરુણાચલ પ્રદેશ કોરોના મુક્ત થયો છે. મળતી માહિતી પ્રમાણે, અહીં કોરોના સંક્રમણના ત્રણ એક્ટિવ કેસ સારા થયા બાદ અહીં એક પણ કોરોના દર્દી નથી.
બીજી બાજુ, અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો કેસ સામે આવ્યો નથી. અરુણાચલ પ્રદેશમાં કુલ ૧૬,૮૩૬ કેસ સામે આવ્યા હતા. જેમાંથી ૧૬,૭૮૦ લોકો સારા થઇ ચૂક્યાં છે. ત્યાં અત્યાર સુધી કોરોના સંક્રમણને લીધે કુલ ૫૬ લોકોનાં મોત થયા છે. અરુણાચલ પ્રદેશનો રિકવરી રેટ ૯૯.૬૬ ટકા છે. તેની સામે પોઝિટિવ રેટ ઝીરો થઇ ગયો છે.
રાજ્યમાં કોરોના અંગે સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. અત્યાર સુધી કુલ ૪,૦૫,૬૪૭ સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીં અત્યાર સુધી ૩૨,૩૨૫ વર્કર્સને રસી આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં પોઝિટિવ કેસની સંખ્યા શૂન્ય થઇ ચૂકી છે, પરંતુ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૬,૭૫૨ નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા ૩૦ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. બીજી બાજુ, દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧,૧૦,૯૬,૭૩૧ પર પહોંચીગઇ છે. જ્યારે ૧૧૩ સંક્રમિતોનાં મોત બાદ કુલ મૃત્યુઆંક ૧,૫૭,૦૫૧ પર પહોંચ્યો છે.
આગળની પોસ્ટ