સંજ્ય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના વિરોધમાં હવે મુસ્લિમ સમાજના આગેવાનો પણ આગળ આવી રહ્યા છે. અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના દીવાન સઇદ જૈનુઅલ અબ્દીન અલી ખાને ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની તુલના વિવાદિત લેખકો સલમાન રશ્દી, તસ્લીમા નસરીન અને તારિક ફતહ સાથે કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ વિવાદિત મુસ્લિમ લેખકોની જેમ ભણસાલી પણ ધાર્મિક ભાવનાઓને ભડકાવી રહ્યા છે.દરગાહના દીવાને પ્રથમ વાર કોઈ વિવાદાસ્પદ મામલે નિવેદન કર્યું છે. અગાઉ તેમણે ઈસ્લામ અને સુફી પંથ વિરુદ્ધ કામ કરવા બદલ આતંકવાદ અને પાકિસ્તાનની આલોચના સુધી પોતાને સિમિત રાખ્યા હતા. એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે ભણસાલીએ લોકોની ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનું કામ કર્યું છે એટલા માટે પદ્માવતીનો વિરોધ યોગ્ય છે. દીવાને વધુમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજે પણ આવી ફિલ્મોના વિરોધનું સમર્થન કરવું જોઈએ.
અજમેર દરગાહના દીવાને વધુમાં ઉમેર્યું હતું કે, ‘ભણસાલીનું કેરેક્ટર લેખક રશ્દી, નસરીન અને ફતહ જેવું છે કારણ કે તેમણે પદ્માવતી ફિલ્મ બનાવીને ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કર્યો છે. આમ કરવાથી રાજપૂત સમાજની ભાવનાઓને ઠેંસ પહોંચી છે. ઉપરોક્ત લેખકોએ પણ મુસ્લિમ સમાજની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.’
દીવાને જણાવ્યું હતું કે અલાઉદ્દીન ખિલજી અને પદ્મવાતી વચ્ચેના કથતિ દ્રશ્યોથી રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. ‘જો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કેટલાક દ્રષ્યો કોઈપણ સમાજની ભાવનાને ઠેંસ પહોંચાડતા હોય તો તેના પર વિચાર કરવો જોઈએ.’ દીવાને ભારત સરકાર સમક્ષ આ ફિલ્મની રિલીઝ અટકાવવા માગ કરી હતી. તેમના જણાવ્યા મુજબ ‘આવી ફિલ્મો માત્ર પૈસા કમાવવા માટે બનાવવામાં આવે છે. રાણી પદ્માવતી રાજપૂત મહિલાઓ માટે આત્મ-સમ્માન અને સાહસનું પ્રતિક છે. આ રીતે ઈતિહાસની વિકૃત રજૂઆત સ્વિકાર્ય ના હોઈ શકે.’