કોંગ્રેસ પાર્ટીથી નારાજ મનાતા ગ્રુપ-૨૩ના નેતાઓમાં સામેલ અને હાલમાં જ રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને જમીન સાથે જોડાયેલા નેતા ગણાવતાં કહ્યું કે, લોકોએ તેમની પાસેથી શીખ લેવી જોઇએ કે સફળતાની ટોચે પહોંચીને પણ કેવી રીતે પોતાના મૂળને યાદ રખાય છે. તેમણે પીએમ મોદીના બાળપણમાં ચા વેચવાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમણે પોતાની હકીકત છુપાવી નથી.
રાજ્યસભામાં વિપક્ષના નેતા રહેલાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, નરેન્દ્ર મોદી ગર્વથી પોતાને ચાવાળો કહે છે. સાથે જ તેમણે કહ્યું કે, મારા નરેન્દ્ર મોદી સાથે રાજકીય મતભેદ છે, પરંતુ વડાપ્રધાન એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. હું પોતે ગામડાનો છું અને ઘણું ગર્વ થાય છે. આપણા વડાપ્રધાન પણ કહે છે કે, ગામડાના છે. ચા વેચતો હતો. વાસણ સાફ કરતો હતો. તેમણે પોતાની હકીકત છુપાવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુલામ નબી આઝાદની નિવૃત્તિ પ્રસંગે રાજ્યસભામાં પીએમ મોદીએ તેમના વખાણ કર્યા હતા. સાથે જ તેઓ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં ભાવુક પણ થઇ ગયા હતા. પીએમ મોદીએ આઝાદને સેલ્યુટ પણ કર્યો હતો. જે બાદ ગુલામ નબી આઝાદ પણ ભાવુક થયા હતા. નોંધનીય છે કે, આઝાદ પાર્ટીના તે ૨૩ નેતાઓમાં સામેલ છે, જેમણે સંગઠન ચૂંટણીની માગને લઇને મોર્ચો માંડ્યો છે. એક દિવસ અગાઉ આ નેતાઓએ જમ્મુમાં સભા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટી નબળી પડી છે અને તેને મજબૂત કરવા માટે કામ કરવાની જરૂર છે.