જેમ-જેમ ૨૧ ફેબ્રુઆરી નજીક આવી રહી છે, તેમ-તેમ સુરત શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીને પગલે રાજકીય માહોલ જામી રહ્યો છે. સુરત ભાજપ યુનિટે બુધવારે સુરત મ્યૂન્સિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચારની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સુરત મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી ૨૧ ફેબ્રુઆરીએ થવાની છે અને તમામ ૩૦ વોર્ડમાં ભાજપના ૧૨૦ ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે પોત-પોતાના વોર્ડમાં પ્રચાર કાર્યમાં સક્રિય છે. જો કે બે દિવસ પહેલા શહેરના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ભવ્ય રોડ શૉ બાદ ભાજપે પોતાની તૈયારીઓ વધારી દીધી છે.
જે અંતર્ગત સરથાણાના શ્રીશ્યામ મંદિરથી બાઈક રેલી નીકાળવામાં આવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં સામેલ થશે. આ રેલી આ તમામ વોર્ડમાંથી પસાર થશે. આ સિવાય ભાજપ દ્વારા સાંજે બે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ જનસભા સાંજે ૭ વાગ્યે પર્વત પાટિયામાં માધવબાગ ગેટ નજીક અને બીજી જાહેર સભા રાત્રે ૮ વાગ્યે ભાગળ ચોકની નજીક યોજાશે. જે બાદ તમામ ૩૦ વોર્ડોમાં આયોજિત વર્ચ્યુઅલ સભાને પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સંબોધિત કરશે.
પોતાની તમામ તાકાત સાથે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલા આપ તરફથી શહેરમાં બે મોટા ચૂંટણી લક્ષી કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ કાર્યક્રમ વાહન રેલી તરીકે હતો અને જેમાં પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ સામેલ થયા હતા. જે બાદ રવિવારે વરાછા વિસ્તારમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નેતૃત્વમાં રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભાજપ પણ હરકતમાં આવી ગઈ છે અને મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.