સરકારી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ સાથે સ્વાસ્થ માટે પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે અત્યાધુનિક આરો.ઓ(જળ શુધ્ધીકરણ)પ્લાન્ટ મળે તેવા ઉમ્દા હેતુથી મંત્રીશ્રી રોહિતભાઈ પટેલના સહયોગથી જી.એમ.ડી.સી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના ફંડમાંથી અંદાજીત રૂા. ૨૦ લાખના ખર્ચે આણંદ શહેર તથા તાલુકાની પ્રથમ તબક્કાની ૩૪ જેટલી જરૂરીયાત મંદ પ્રાથમિક શાળામાં જે.સી.આઈ.,આણંદ ના સહયોગથી આર.ઓ પ્લાન્ટ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ખાણ-ખનીજ રાજ્યમંત્રી રોહિતભાઈ પટેલના હસ્તે આણંદ તાલુકાની મેધવા, ગાના, જહાંગીરપુરા(હાડગુડ) સહિત જિટોડીયા પ્રાથમિક શાળામાં આર.ઓ.પ્લાન્ટનું લોકાપર્ણ કર્યુ હતું. શાળામાં બાળકની સંખ્યાના આધારે ૫૦ લીટર કેપેસીટી વાળા ૧૦ નંગ, ૧૦૦ લીટર કેપેસીટી વાળા – ૭ નંગ તથા ૧૫૦ લીટર કેપેસીટી વાળા ૧૭ નંગ મળી ને કુલ ૩૪ આર.ઓ.પ્લાન્ટ નિભાવણી સાથે મુકવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યુ કે, બાળકો ને શિક્ષણ સાથે તંદુરસ્તી, સ્વચ્છતા પણ એટલીજ જરૂરી છે. મંત્રીશ્રીએ આ ઉમ્દા કાર્યમાં સહયોગ આપવા બદલ જી.એમ.ડી.સી, અમદાવાદ તથા જે.સી.આઇ., આણંદને અભિનંદન પાઠ્યા હતા. બાળકો શુધ્ધ પીવાનું પાણી મળતા પાણી જન્ય રોગો સામે રક્ષણ મળી રહેશે. મંત્રીશ્રીએ બાળકોને ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સખત પરિશ્રમ કરવા અનુરોધ કર્યો હતો. તેમજ આ પ્રસંગે વાલી તથા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા.
નવાપુરા પ્રા.શાળા બાળકો દ્રારા પ્રાર્થના તથા સ્વાગત ગીત દ્રારા મંત્રીશ્રી નું સ્વાગત કરાયુ હતું. શાળાના આચાર્ય દ્રારા સ્વાગત પ્રવચન કરાયુ હતું તથા જેસીઆઈના પ્રમુખ ભુજંગ પટેલ દ્રારા આભારવીધી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ બાબુભાઇ રાઠોડ, જે.સી.આઈ નો સભ્યો, વાલીશ્રીઓ, ગ્રામજનો, તથા શાળાના બાળકો ઉપસ્થિત રહયા હતા.