કૃષિ પ્રધાન આપણા દેશમાં આજે પણ ખેતી અને પશુપાલનમાં રોજગારીની ઉજળી તકો રહેલી છે. પ્રાચિન ભારત આ બાબતોથી ખુબજ સમૃધ્ધ હતુ. તત્કાલિન સમયે દેશનો વિકાસ દર ૨૩ ટકા જેટલો ઉંચો હતો. અને આજ કારણોસર વિદેશી આક્રમણેા દેશ પર થયા તથા અંગ્રેજોએ દેશને ગુલામ બનાવ્યો. તેમની ઔદ્યોગિક ક્રાંતિને કારણે દેશમાં ગુલામીની માનસિકતા સર્જી અને નોકરીનુંમહત્વ વધ્યું.
આજે દેશના ઔદ્યોગિક એકમો જે નફો કરે છે. તેમાં મોટાભાગની આવક ગણ્યાગાંઠયા લોકો પાસે જાય છે. જયારે કામદાર વર્ગ પગાર રુપે ઓછી આવક મેળવે છે. તેમજ સરકારી નોકરી અને ઔદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવાની તકો મર્યાદીત છે એવા સંજોગોમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય ઘર પરિવારની આર્થિક સમૃધ્ધિ મજબુત બનાવી શકે તેવો છે. તેમ રાજયના પશુપાલન, ગૌસંવર્ધન, પાણી પુરવઠા, મત્સ્યોદ્યોગ અનેનાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બાબુભાઇ બોખરીયાએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ખાતે ધનોલ ગામે ફ્રોજન સીમોન સ્ટેશન અને તાડવા ખાતે દૂધ શીત કેન્દ્રના ભૂમિ પૂજન પ્રસંગે જણાવ્યું હતું.
મંત્રી શ્રી બાબુભાઇ બોખરીયાએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગ્રામિણ ભારતની સંકલ્પનાને સાકાર કરવા, ગરીબીનો અહેસાસ ધરાવતા વડા પ્રધાન અને તત્કાલિન રાજયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામિણ અર્થકારણને મજબુત બનાવવા અનેક વિધ યોજનાઓનો પ્રારંભ કર્યો. ખેડુતો, પશુપાલકો, ગ્રામ્ય કારીગરો વગેરે માટે પાયાનુ અને પ્રાથમિક જરુરીયાતોમાં પીવાના પાણી, વિજળી, સિંચાઇના પાણી જેવી સુવિધાઓ વધારવા સાથે પ્રોત્સહિત કાર્યક્રમો કર્યા જેના પરિણામે આજે ગુજરાતનો કૃષિ વિકાસ દર બે આકડાનો થયો છે.
ફ્રોજન સીમેન સ્ટેશન શરુ કરવા પાછળ રાજય સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા મંત્રી શ્રી બાબુભાઇ બોખરીયાએ જણાવ્યુ હતુ કે, પશુ ઓલદો સુધારી તેમની દુધ ઉત્પાદન ક્ષમતા વધશે, જેને કારણે પશુ પાલકની આવકમાં વધારો થશે. આ માટે જીનેટિક રીતે સક્ષમ ‘‘ બુલ ‘‘ પસંદ કરવામાં આવશે. આ બુલના જીન્સમાં જીનોમ સીકવન્સ અને સેકસીડ ઓફ સીમેન્સ દ્વારા આવનારી પશુપેઢી રોગ રહીત અને વધુ ઉત્પાદન આપતી સારી ઓલાદો મેળવી શકશે. જેથી પશુપાલન વ્યવસાયના ખર્ચમાં ઘટાડો થશે અને દૂધની આવકમાં વધારો થશે. રાજયમાં હાલ પાટણ ખાતે ફ્રોજન સીમેન સ્ટેશનકાર્યરત છે. હવે પછી રાજયમાં ત્રણ નવા ફ્રોજન સીમેન સ્ટેશનો કાર્યરત થશે. જેથી રાજયના પશુપાલકોને સારી ગુણવત્તા ધરાવતા પશુઓ પ્રાપ્ત થઇ શકશે.
ગોધરા તાલુકાના ધનોલ ખાતે સાકારીત થનારા ફ્રોજન સીમેન સ્ટેશનથી સ્થાનિક ગાય અને ભેંસોની ઓલાદ સુધારી શકાશે અને તેનાથી આવનારા વર્ષોમાં પશુદીઠ દૂધ ઉત્પાદન ક્ષમતા વધશે. આ ફ્રોજન સીમેન સ્ટેશન રાજયના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણના પશુધન વિકાસ બોર્ડની રુ. ૧૦.૮૨ કરોડની સો ટકા આર્થિક સહાયથી સ્થપાશે. જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૦ લાખ સીમેન ડોઝની રહેશે. તેમાં ગાયોમાં ગીર અને કાંકરેજી તથા ભેંસમાં મહેસાણી, જાફરાબાદી અને બન્ની ઓલાદના સીમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. જેનાથી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ૩.૫ લાખ જેટલા દૂધ ઉત્પાદકોને લાભ થશે.
શહેરા તાલુકાના તાડવા ગામે અંદાજીત રુ. ૩૫ કરોડના ખર્ચે દૂધશીત કેન્દ્ર બનાવવામાં આવશે આ કેન્દ્ર બનવાથી દૂધની ગુણવત્તા જળવાઇ રહેશે અને લાંબા સમય સુધી સંગ્રહી શકાશે તથા દૂર સુધી દૂધની હેરફેર કરી શકાશે. જેથી દૂધ તણામણ ખર્ચમાં ઘટાડો થશે. વપરાશ કારોને સારી ગુણવત્તાનુ દૂધ અને તેની બનાવટો ઉપલબ્ધ થશે સાથે દૂધ ઉત્પાદકોને સારુ વળતર મળી રહેશે.
આ પ્રસંગે ગોધરાના સાંસદ શ્રી પ્રભાતસિંહચૌહાણ, શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પદક સંઘના પ્રમુખ શ્રી જેઠાભાઇ ભરવાડ, ગોધરાના પૂર્વ ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીએ પ્રાસંગિક ઉદૃબોધનો કર્યા હતાં.
આ પ્રસંગે પશુધન વિકાસ બોર્ડના કારોબારી અધિકારી ડો.હીનાબેન પટેલ, વડોદરાના સંયુકત પશુપાલન નિયામકશ્રી એન.કે.રોહિતસહિત ત્રણે જિલ્લાની દૂધ મંડળીઓના હોદ્દેદારો,સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.