રાષ્ટ્રીય કિસાન દિવસના રોજ સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ – ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ખાંભા ગામે પ્રદેશ પ્રમુખ ઘનશ્યામ મોરીના નિવાસ સ્થાને એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા જેમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામ મોરી, પ્રદેશ મહામંત્રી રમણીક જાની સહિત ૫૦થી વધુ ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા. ત્રણ કૃષિ બિલના વિરોધમાં સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ત્રણ કાળા કાયદા પરત ખેંચવા માંગ ઉઠી છે, દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડુત આંદોલનને સમર્થન આપવા કિસાન દિવસે ઠેર ઠેર ઉપવાસ પર ખેડૂતો બેઠા છે. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં ખુણે ખુણે પડી રહ્યા છે, ખેડૂતોની કાયદા પરત ખેંચવા માટેની માંગ ઉગ્ર થતી જતી જાય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી થયેલા નુકસાનના કારણે ત્રણ કૃષિ બિલનો વિરોધ વધી ગયો છે, જે લોકો દિલ્હી નથી જઈ શકતા એ ખેડૂતો પોતપોતાના વિસ્તારમાં આંદોલનને વેગ આપી રહ્યા છે, વધુમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ મહામંત્રી રમણીક જાનીએ જણાવ્યું છે કે ઉપવાસ સાથે ખેડૂતોએ સરકાર ખેડુતો પ્રત્યે સંવેદનશીલ બને એ માટે રામધુન પણ બોલાવી હતી. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં શિહોર ખાતે દિલ્હીથી જાહેર કરવામાં આવેલા તમામ કાર્યક્રમો યોજવામાં આવે છે. આવનારા દિવસોમાં વઘુ ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે તેવું લક્ષ્મણભાઈ રબારી દ્વારા જણાવાયું છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)