દમણ દીવ અને ગોવાની આઝાદી માટે લડાઈ દરમિયાન શહીદ થયેલા જવાનોને દીવ કલેકટર સલોની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી તથા આર્મી અધિકારીઓ અને પ્રશાસનીય અધિકારીઓએ પુષ્પ અર્પણ કરી સલામી આપી પુષ્પાંજલિ આપી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી દીવ મુક્તિ દિવસની ઉજવણી સાદગી પૂર્વક અને કોરોનાની ગાઈડ લાઈન અનુસરીને કરવામાં આવી હતી. આજના દિવસે દીવ પદ્મભૂષણ કોમ્પલેક્ષ ખાતે દીવ કલેકટર સલોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય ગીત વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકો દ્વારા ગાવામા આવ્યું હતું અને સલામી અપાઈ હતી. ત્યારબાદ દીવ કલેકટર સલોની રાય એ દીવ પ્રશાસક પ્રફુલ્લ પટેલના સંદેશને વાંચી લોકો સુધી પહોંચાડ્યો હતો. કલેકટર શ્રીમતી સલોની રાય એ દરેકને દીવ મુક્તિ દિવસની શુભકામના પાઠવતા દરેકને દીવના વિકાસીય કાર્યો અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે પીએસઆઈ પુનીત મીણા અને પીએસઆઈ ગાયત્રીમેડમે તેમની પોલીસ પલટન સાથે સલામી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે કોરોના મહામારીને લીધે ખૂબજ ઓછા દીવના અધિકારી ગણ અને લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, દીવ)