ધોરાજીના કૈલાશ નગર પાસે આવેલ તોરણીયાના જુના રાજમાર્ગ પર આવેલ રેલવે ફાટક બંધ કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોને હાલ રવિ પાકનું વાવેતર અને કપાસ ઉતારવા, મગફળી વગેરેની મોસમ ચાલી રહી હોય ખેડૂતો, રાહદારીઓ અને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક લોકોની અવરજવર આ રોડ પર વધારે રહેતી હોય છે. ફાટક ૨૪ કલાક બંધ રખાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. એક – દોઢ કલાક સુધી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય પછી જ ફાટક ખોલવામાં આવે છે અને ફરીથી બંધ કરી દેવામાં આવે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે રેલવે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય પગલાં ન લેવાતાં ખેડૂતોએ રેલવે ક્રોસિંગ પાસે ચક્કાજામ કરવું પડ્યું છે. ગોંડલ પાસેના દેરડી ગામ પાસેના ફાટક પર બનેલી અકસ્માતની ઘટનાથી અન્ય તાલુકાના બધા રેલવે ફાટક બંધ કરી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચક્કાજામને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)