પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને દિવાળી ભેટ રૂપી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે.
ભાવનગર ઘોઘા અને સુરતના હજીરા ખાતે જોડાયેલા વિવિધ વેપારીઓ સાથે મોદીએ સંવાદ કર્યો હતો. સંવાદમાં વેપારીઓએ રો-પેક્સ ફેરીથી થતા ફાયદાઓ અંગે જણાવ્યું હતું જેમાં મોદીનો વેપારીઓએ રો-પેક્સ સેવાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, સુરતમાં હીરા અને સૌરાષ્ટ્રમાં હળ બંને તરફથી ફાયદો જ ફાયદો. આ સંવાદમાં ખેડૂત, શાકભાજી-ફળના વેપારી, ડાયમંડ વેપારી અને રત્ન કલાકારો સાથે વાતચીત કરી હતી. સુરતના હજીરા ખાતે અદાણી દ્વારા બનાવવામાં આવેલા ટર્મિનલ ખાતે મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા છે. ભાવનગરના ઘોઘા ખાતે પણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો છે જેમાં મહુવા,પાલીતાણા ગારીયાધારના ધારાસભ્ય અને કલેક્ટર, ડીડીઓ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)