ભાવનગર શહેરનાં માર્ગો પર રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો છે. છેલ્લાં એક મહિનામાં એક પત્રકાર સહિત ઢોરને કારણે બે લોકોનાં મોત નિપજ્યા છે છતાં પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી નક્કર પગલા લેવામાં આવ્યાં નથી જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર અને ખુટીયાઓએ માઝા મુકી છે. અવારનવાર લોકો ભોગ બનતાં રહે છે. ઘણીવાર લોકોને નાની મોટી ઈજા થતાં હોય છે. આજે સુભાષનગર વિસ્તારની ભોળાનાથ સોસાયટીમાં રહેતા ભરત પરમાર બાઈક લઈ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક ખુટીયાએ તેમને અડફેટમાં લેતા ભરતભાઈ જમીન પર પટકાયા હતાં અને ગંભીર ઈજા થવા પામી હતી. સારવાર અર્થે તુરંત જ એમને સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)