જમીન સંપાદનમાં થયેલી ભૂલને સુધારવામાં આવે અને કાવીઠાના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવાય તે અંગે અસરગ્રસ્તોએ સરકારને પણ રજૂઆત કરી છે. સરકારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની બાંહેધરી પણ આપી હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાવીઠા ગામના ખેડૂતોને અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ હાઈવે કાવીઠા ગામમાંથી નીકળે છે. એક્સપ્રેસ હાઇવે માટે કાવીઠા ગામની ૯૪૦ વિઘા જમીન સંપાદન કરવામાં આવી છે.. કાવીઠા ગામના ખેડૂતના ખેતરની બાજુમાં આવેલા ચાચરવાળી વાસણાના ખેડૂતોને વીઘા દીઠ ૮૪ લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યા છે. જ્યારે કાવીઠાથી અડધો કિલોમીટર દૂર આવેલા ચલોડા ગામના ખેડૂતોને વીઘા દીઠ ૬૫ લાખનું વળતર ચુકવવામાં આવ્યું છે.. જેની સામે કાવીઠા ગામના ખેડૂતોને માત્ર વીધે ૨૨ લાખનું જ વળતર આપવામાં આવ્યું છે. જેને લીધે જમીન સંપાદનના વળતરમાં કાવીઠા ગામના ખેડૂતોને ભારે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાવીઠાના ખેડૂતોનો દાવો છે કે ચાચરવાળી વાસણા અને ચલોડા ગામની જમીન કરતા કાવીઠાની જમીન સારી છે.. તેમ છતાં કાવીઠા ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.. આ સ્થિતિમાં ખેડૂતોની માગ છે કે જે રીતે અન્ય બે ગામની જમીન સંપાદન કરી તેમને ઉંચી કિંમત ચૂકવવામાં આવી છે, તે જ પ્રમાણે કાવીઠાના ખેડૂતોને પણ યોગ્ય રકમ ચૂકવવામાં આવે.