ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે નવરાત્રીના પ્રત્યેક દિવસે ગુજરાતમાં વિવિધ સ્થળો પર સ્થિત આદ્યશક્તિ માં જગદંબાના વિશેષ આસ્થાનો પર મહા આરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવરાત્રીના ચોથા નોરતે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા માં ચામુંડાના સાનિધ્યમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં મહા આરતી અને ગરબા મહોત્સવ યોજાયો હતો.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત એક વૈવિધ્યસભર વારસો ધરાવતો દેશ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ સંસ્કૃતિની ઝાંખી અને તહેવારો જોવા મળે છે. ત્યારે ગુજરાતનો નવરાત્રી તહેવાર એ વિશ્વમાં સૌથી લાંબો ૯ દિવસ સુધી ચાલનાર નૃત્ય મહોત્સવ છે. ત્યારે આ તહેવારની વિશેષ ઉજવણી આ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે આ પ્રસંગે માં ચામુંડાની આરતી અને દર્શન કરી, દેશ અને રાજ્યમાંથી કોરોના મહામારી દૂર થાય અને લોકોના ધંધા રોજગાર સારી રીતે ચાલે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. વધુમાં જણાવતા મંત્રીશ્રીએ ચોટીલા ખાતે વન વિભાગ દ્વારા વન મહોત્સવ અંતર્ગત ભક્તિ વન પણ વિકસાવવામાં આવ્યું છે.
વધુમાં તેમણે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના મહામારીને જડથી નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ રસીકરણ મહા અભિયાનમાં લોકો સહભાગી બની, વધુમાં વધુ લોકોનું કોરોના રસીકરણ કરવા મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો હતો.
આ તકે ચોટીલા મંદિરના મહંતશ્રી અમૃતગીરી બાપુ, જિલ્લા કલેકટરશ્રી એ. કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન. કે. ગવ્હાણે, ગુજરાત પ્રવાસન નિગમના શ્યામલ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયદીપભાઇ ખાચર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઈ ખાચર, તેજાભાઈ ભરવાડ અને પ્રદીપભાઈ ખાચર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.