વિશ્વભરમાં કોરોના મહામારીને પગલે ધાર્મિક સ્થાનો લોકડાઉનમાં બંધ રાખવામાં આવ્યાં હતાં. હાલ અનલોકમાં ગાઇડલાઈન મુજબ ખોલવામાં આવ્યાં છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિત દર્શન માટે મંજૂરી આપવામા આવી છે પરંતુ પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠના મહાકાળી માતાના દર્શન આ વખતે માઇ ભકતો કરી નહીં શકે. આસો નવરાત્રીમાં પાવાગઢના મહાકાળી માતાના દર્શનનો વિશેષ મહિમા છે. અહીં દેશ – વિદેશથી દર્શનાર્થીઓ દર્શને આવતા હોય છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ મંદિર પ્રશાસન દ્વારા નવરાત્રીમાં ભકતોના ધસારાને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પણ આ વર્ષે કોરોનાના સંક્રમણને લઇને નવરાત્રીમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલોલ સર્કિટ હાઉસ ખાતે આજે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને પાવાગઢ મંદિર પ્રશાસન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે દેશમાં ૭૦ લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. નવરાત્રી માટે ગાઇડલાઈન પણ જાહેર કરવામાં આવી છે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે નવરાત્રીમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભકતોની આસ્થા જળવાઇ રહે તે માટે વર્ચ્યુલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં પાવાગઢ મંદિર પાસે આવેલા માંચી પાસે એલઈડી સ્કીન મુકવામાં આવશે જેમાં મહાકાળી માતાજીના ઓનલાઇન દર્શન કરી શકાશે. તા ૧૬-૧૦-૨૦૨૦ થી ૧-૧૧-૨૦૨૦ સુધી મંદિર દર્શર્નાથીઓ માટે બંધ રહેશે. મંદિર પ્રશાસને વેબસાઈટ પર ઓનલાઇન દર્શનનો લાભ લેવા પણ જણાવ્યું છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)