રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા અતિ ભારે વરસાદના પગલે ભાદર, મોજ અને વેણુ નદીઓમાં પુર આવ્યું હતું તેમજ વારંવાર પડી રહેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી વારંવાર ભરાયેલા રહેતા હોવાથી ખેડૂતોએ ત્રણ ત્રણ વખત વાવેતર કરેલ મગફળી, કપાસ, એરંડા, સોયાબીન, તલ અને તુવેર જેવા પાકોનું સંપૂર્ણપણે નુકસાન થવા પામ્યું છે. મગફળીનું વાવેતર કરવામાં ખેડૂતને એક વીઘાએ ૮ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જેમાં હાલ મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને માત્ર ૩૦૦૦ રૂપિયા મગફળીનું ઉત્પાદન થાય તેમ છે તેમજ પશુઓના ચારાનો ૫૦૦ રૂપિયા જ વીઘે ભાવ મળે તેમ હોવાથી ખેડૂતને એક વીઘે સાડા ચાર હજારનું નુકસાન થયેલ છે અને કપાસના વાવેતરમાં એક વીઘાએ ૧૧ થી ૧૨ હજાર રૂપિયાનો ખર્ચ કરેલ છે અને સામે ૭૦૦૦ રૂપિયા જેવી નુકસાની થવા પામી છે ત્યારે સરકારની આ ક્રુર મજાકથી ખેડૂતો પણ ભારે પરેશાન છે જેને લઇને ખેડૂતોએ પોતાના મહામૂલા ઉભા પાકમાં પશુઓને ચરવા મૂકી દીધા હતા કારણકે ચારો ઉપાડવાની મજૂરી પણ માથે પડે તેમ હોવાથી ચારો કાઢવો પોસાય તેમ નથી. સરકાર દ્વારા ખેડૂતોને નજીવી જાહેરાત પરથી ખેડૂત ને કોઈ જાત નો ફાયદો થાય તેમ નથી. ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તેઓના હાલ બેહાલ થઇ જતા ખૂબ જ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે સહાય આપવામાં આવે અને ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવે તો જ ખેડૂતો બચી શકે તેમ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)