રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તેમના ખર્ચે આપવામાં આવતી સારવારના દરો નિયત કર્યા છે.
આઈ.સી.યુ. ની સુવિધા વિનાની આરોગ્યલક્ષી સેવાઓ માટે વૉર્ડમાં પ્રતિદિન 5700 રૂપિયા અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ. માં પ્રતિદિન 8075 રૂપિયાનો સીલીંગ રેટ નક્કી કરવામાં આવ્યો છે.
જ્યારે આઈ.સી.યુ. ની સુવિધા સાથેની આરોગ્યલક્ષી સારવાર માટે પ્રતિદિન-પ્રતિ બેડનો વૉર્ડનો દર 6000 રૂપિયા, હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી. યુ. નો દર 8500 રૂપિયા, આઈસોલેશનની સાથે આઈ.સી.યુ. ની સેવાના દર રૂ. 14,500 અને વેન્ટિલેટર- આઈસોલેશન અને આઈ.સી.યુ. સાથેના દર 19,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે આ અંગેના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નિયત કરેલા આ દર અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં લાગુ પડશે નહીં. કારણ કે આ વિસ્તારોમાં આ પહેલાં-શરૂઆતથી જ ભાવો નિયત કરી દેવામાં આવ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિયત કરેલા આ દરોમાં ટૉસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ તથા સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવારમાં જરૂરી દવાઓ અને પ્રોફિલેક્સિસમાં વપરાતી હાયર એનિબાયોટિક્સનો સમાવેશ થતો નથી.
આ ઉપરાંત, સ્પેશિયલ ડોક્ટર વિઝીટ, લેબોરેટરી ચાર્જીસ તથા પ્રતિ ડાયાલિસિસના 1500 રૂપિયા અને આઈસીયુમાં ડાયાલિસિસના 3500 રૂપિયાનો પણ આ દરોમાં સમાવેશ થતો નથી. નક્કી કરવામાં આવેલા આ દરોમાં બે ટાઈમનું ભોજન, સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો તથા પી.પી.ઈ. કીટ્સ, એન-95 માસ્ક, તમામ રૂટીન દવાઓ, રૂમ ચાર્જીસ અને નર્સિંગ ચાર્જીસનો સમાવેશ થાય છે.