ચાંદોદ નવા માંડવાની સીમમાં વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં ગુરૂવારના રોજ અંદાજે ૪ વર્ષનો દીપડો આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. પંથકની સીમમાં વારંવાર ખેડૂતોને દેખા દેતા એક કરતાં વધુ દીપડાની દહેશત વચ્ચે દોઢ મહિનાના ટૂંકા સમયમાં જ બીજો દીપડો પાંજરે પુરાતા ખેડુતોને રાહત થઇ છે પરંતુ હજુ પણ દીપડા હોવાની દહેશત વ્યાપેલી છે. ચાંદોદ પંથકના નંદેરીયા, ભીમપુરા, માંડવા, કરનાળી, ગામડી, રાજપુરા, માનપુરા જેવા પંથકના વિસ્તારોનાં ખેતરોમાં દીપડા દેખાતા હતાં એટલું જ નહીં ગામડાના રહેણાંક વિસ્તારોમાં દીપડાઓ રાત્રિના મૂંગા પશુઓનું મારણ કરે છે જેના પરિણામે લોકોમાં ભય વધ્યો હતો. રાત્રિના સમયે ખેતરમાં પાણી લેવાનું હોય કે અન્ય ખેતી કામ કરવાનું હોય ખેડૂતો ટાળતા હતા, આવી ફરિયાદોને લઈને વન વિભાગ તેમજ ચાંદોદના નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દીપડાઓની અવર-જવર વાળા લોકેશનને ટ્રેસ કરી અલગ અલગ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારે ગુરૂવારની સવારે નવા માંડવાની સીમમાં પ્રમોદ સુરેશચંદ્ર પટેલના ખેતરમાં ગોઠવાયેલા પાંજરામાં દીપડો પુરાતા ખેડુતોને હાશકારો થયો છે. અગાઉ ૨૫ ઓક્ટોબરના રોજ નવા માંડવા ખાતેના પરમ હિત આધ્યાત્મિક સંકુલમાંથી દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે હવે દોઢ મહિના જેટલા ટૂંકા ગાળામાં ગુરૂવારે બીજો દીપડો પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. દીપડો પાંજરે પુરાતા આર.એફ.ઓ. આર.એમ વસાવા, બીટગાર્ડ મનુભાઈ રાઠવા, નેચર હેલ્થ ફાઉન્ડેશનના જીગ્નેશ માછી અને ટીન સ્થળ પર આવી પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)