છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર ખાતે આવેલ સુખી ડેમમાં પાણીની આવક સારી હોવાથી તંત્ર દ્વારા સિંચાઇનું પાણી ખેડૂતોને ડેમમાંથી છોડવામાં આવ્યું પરંતુ કેનાલમાં ઝાડી ઝાંખરા સાફ-સફાઈ નહીં હોવાના કારણે અને ઠેર-ઠેર ગાબડાં પડતા સુસ્કાલ ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા મકાઈ, ભીંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ વર્ષે વરસાદ સારો થયો હોવાથી સુખી ડેમમાં પાણીનો સંગ્રહ સારો થયો છે પરંતુ અધિકારીઓની અણઘડ નીતિના કારણે તેમાંજ કોન્ટ્રાકટરની મિલી ભગતના કારણે પાવીજેતપૂર તાલુકાના સુસ્કાલ માયનોર કેનાલમાં ગાબડાં પડતા પાણી જાહેર માર્ગ પર પણ ફરી વળ્યા હતાં એન ખેડુતોના ઉભા પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે જેનાથી ખેડૂતોની હાલત પાયમાલ જેવી થઈ ગઈ છે. સ્થાનિક ખેડુતના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસથી આ કેનાલમાં પાણી છોડ્યું ત્યારથી ગાબડાં પડ્યાં છે. સુખી સિંચાઇના અધિકારીઓની બેદરકારીઓને કારણે અમારો માલ નાશ પામ્યો અને અમે દેવું કરી મોંઘા ભાવનું બિયારણ ખાતર લાવ્યા તે બધું આ તંત્રના અધિકારીઓની નિષ્કાળજીના કારણે પાણીમાં ગયું, અમે દેવાના ડુંગર તળે છીએ, હવે અમારે અમારા પરિવારને જીવાડવો કઈ રીતે, અમારું આ વર્ષ પાક લેવા માટે ફેલ ગયું, અમોને એક જ ચિંતા સતાવે છે અમારું શું થશે, અમારે આપઘાત કરવાનો વારો આવેતો નવાઈ નહીં, અમારી આ નુકસાનીનું વળતર કોણ ચૂકવશે.
ખેડુતોનો આક્ષેપ છે કે આ અધિકારીઓની અણઆવડત ને લીધે અમે ડાબા કાંઠાના ખેડુતોને સિંચાઇના પાણી ત્રણ વર્ષ પછી મળ્યા તેનું કારણ એ છે કે કેનાલોમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે તેના લીધે કેનાલો ઠેર ઠેર તૂટી ગઈ છે. આ કેનાલો સુખી સિંચાઇના અધિકારીઓ રિપેરિંગ કરાવતા નથી માટે અમોને સિંચાઇના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકસાન થયું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
આગળની પોસ્ટ