હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ કક્ષાનું પ્રવસન સ્થળ બનાવવા માટે ગુજરાત સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ગત રોજ વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વિધેયક રજુ કરાયું હતું ત્યારે આ વિધેયવના વિરોધમાં સ્થાનિક આદિવાસી નેતાઓ વિધાનસભાની બહાર ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા હતા ઉપરાંત વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ પત્રકારોને સંબોધન કરતી વખતે આ વિધેયકને સળગાવ્યું હતું અને તમામ આદિવાસી અને દલિત ધારાસભ્યોને આ વિધેયવનો વિરોધ કરવા અને વિધાનસભામાં આ બિલની કોપી ફાડવા આહ્વાન કરાયું હતું.
વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અંગેનું વિધેયક રજૂ થતા કોંગ્રેસના ધારાસભ્યોએ પણ જોરદાર વિરોધ કર્યો હતો અને વોકઆઉટ પણ કર્યું હતું ત્યારે આજે નાંદોદ મતવિસ્તારના કોંગી ધારાસભ્ય પી.ડી.વસાવાએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થાય તેનાથી અમને કાંઈ વાંધો નથી પરંતુ જે છ ગામના લોકોના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવતું નથી. સ્થાનિકોને રોજગારી મળતી નથી, સ્થાનિક ખેડૂતોને તેમની જમીનોનું યોગ્ય વળતર મળતું નથી, તંત્ર દ્વારા સ્થાનિકોને વારંવાર હેરાન કરાય છે, તેમનું કોઈ સાંભળતું નથી, નોકરીમાંથી અચાનક છુટા કરી દેવાય છે, આ બધી રજૂઆતો વિધાનસભામાં ન સાંભળતા અમે વિરોધ કર્યો હતો. ઉપરાંત આ બિલ આવવાથી પંચાયત રાજ ખતમ થઈ જશે અને સ્થાનિક જમીન માલિકોને ભવિષ્યમાં તકલીફ ઉભી થવાની છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)