શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી એક ડિવોર્સી પરપ્રાંતીય યુવતીને લગ્નની લાલચ આપી તેણીને ગુજરાત રાજયનું ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ બનાવી આપવાની લાલચ આપી તેણીને જુદી જુદી જગ્યાએ લઇ જઇ શરીર સુખ માણ્યા બાદ લગ્ન કરવામાંથી ફરી જનાર ત્રણ સંતાનોના પિતા એવા પરિણિત યુવક વિરૂધ્ધ ખોખરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ઉત્તરાખંડ રાજયના હરિદ્વાર જિલ્લાની વતની એવી અને શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય ડિવોર્સી યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન ૨૦૧૨માં અમરીત નામના યુવક સાથે થયા હતા પરંતુ બંને વચ્ચે મનમેળ નહી આવતાં ૨૦૧૪ના વર્ષમાં તેઓએ રાજીખુશીથી ડિવોર્સ લઇ લીધા હતા. તેણીને કોઇ સંતાન નથી. સને ૨૦૧૬માં તેણી અમદાવાદ આવી હતી અને નારોલ પાસે એસપીજી કંપનીમાં નોકરી કરતી હતી. એ વખતે તેણી કંપનીમાં જ કામ કરતાં આરોપી નીલેશ સ્વરૂપચંદ માલી સાથે પરિચયમાં આવી હતી. નીલેશે મારા ડિવોર્સ થયાનું જાણીને મારી સાથે લગ્ન કરશે એવી હૈયાધારણ આપી હતી અને મને ગુજરાતનું ઇલેકશન કાર્ડ અને રેશનકાર્ડ બનાવી આપશે તેવી લાલચ આપી હતી અને એ વખતે મારા નારોલ ખાતેના ઘેર આવી મારી સાથે અવારનવાર શરીરસુખ માણતો હતો. ત્યારબાદ અમે બંનેએ બી.એન.ટ્રેડીંગ કંપની શરૂ કરી હતી અને તેમાં નીલેશ ભાગીદાર હતો. ત્યારબાદ અમે ખોખરા રહેવા આવ્યા હતા. જયાં પણ નીલેશ અવારનવાર આવતો, મને બહાર ફરવા પણ લઇ જતો અને શરીરસુખ માણતો હતો. જો કે, તેણીએ જયારે નીલેશને કોર્ટમાં લગ્ન કરવાનું જણાવ્યું ત્યારે તે કોઇપણ બહાને વાત ફેરવી નાંખતો હતો. બે દિવસ પહેલાં તા.૨-૫-૧૭ના રોજ નીલેશ તેણીના ઘેર આવ્યો ત્યારે તેણીએ ફરીથી લગ્નની વાત કરી હતી. જેથી નીલેશ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણીને લગ્નની વાત કરીશ તો હાથપગ ભાંગી નાંખીશ. હું તારી સાથે લગ્ન કરવાનો નથી તેવી ધમકી આપી જતો રહ્યો હતો. બાદમાં યુવતીએ તપાસ કરતાં નીલેશ પરિણિત હોવાનું અને તે ત્રણ સંતાનોનો પિતા હોવાનું માલૂમ પડયું હતું. જેથી યુવતીએ આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
આગળની પોસ્ટ